17 August, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનો પાણીનો જથ્થો લગભગ ૩ અઠવાડિયાં સુધી ૮૮ ટકા પર સ્થિર રહ્યા બાદ શનિવારે ૧૫ ઑગસ્ટે વધીને ૯૨ ટકા થયો હતો. શહેરનાં ૭ જળાશયો હવે મુંબઈની ૩૨૩ દિવસની જરૂરિયાતોને પૂરી કરી શકે એટલું પાણી ધરાવે છે. જોકે એમ છતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સાવચેતીનાં પગલાં તરીકે ૧૫ મેથી લાદવામાં આવેલો ૧૦ ટકા પાણીકાપ ચાલુ રાખ્યો છે.
૧૫ ઑગસ્ટ સુધીમાં ૭ જળાશયોમાં પાણીનો કુલ જથ્થો એમની કુલ કૅપેસિટી સામે લગભગ ૧૩.૨૪ લાખ મિલ્યન લીટર હતો. ગયા વર્ષના સમાન સમયગાળા દરમ્યાન આ જથ્થો ૧૨.૯૫ લાખ મિલ્યન લીટર હતો, જ્યારે ૨૦૨૪માં એ ૧૩.૪૮ લાખ મિલ્યન લીટર હતો.
ચાર જળાશયો ઓવરફ્લો
તાજેતરના વરસાદને કારણે ઘણાં જળાશયો ઓવરફ્લોના સ્તરે પહોંચી ગયાં છે. થાણે જિલ્લામાં આવેલાં બે મુખ્ય જળાશયો તાનસા અને મોડકસાગર ઓવરફ્લો થઈ રહ્યાં છે. મુંબઈમાં વિહાર અને તુલસી જેવાં નાનાં જળાશયો પણ ઓવરફ્લો થઈ રહ્યાં છે.
પાણીકાપ કેમ ચાલુ?
સુધારા છતાં પાણીનો આખા વર્ષનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જરૂરી સ્તરથી ઓછો છે. આખા વર્ષ માટે પૂરતું પાણી મેળવવા માટે શહેરને પહેલી ઑક્ટોબર સુધીમાં લગભગ ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર પાણીની જરૂર પડશે. દરમ્યાન ચોમાસાના બાકીના મહિનાઓ દરમ્યાન વરસાદ વિશે ચિંતા રહે છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં એલ નીન્યોની ઘટના વરસાદની પ્રવૃત્તિને પ્રભાવિત કરે એવી શક્યતા હોવાથી BMCએ સાવચેતીનાં પગલાં તરીકે ૧૫ મેથી લાદવામાં આવેલો ૧૦ ટકા પાણીકાપ ચાલુ રાખ્યો છે.