Mumbai: માહિમ દરગાહ પાસે એસી બ્લાસ્ટમાં એકનું મોત, એક ગંભીર

15 June, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: ફૂડ આઉટલેટમાં થયેલો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ટેકનિશિયનો રસ્તા પર ઘણા ફૂટ નીચે પટકાયા હતા; વિસ્ફોટથી હોટલના આગળના ભાગ અને ઉપરના ફ્લેટને પણ નુકસાન

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શુક્રવારે મુંબઈ (Mumbai)ના માહિમ (Mahim)માં એક ફૂડ આઉટલેટના એર-કંડિશનર (AC)ના આઉટડોર યુનિટમાં વિસ્ફોટ થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી એક ગંભીર છે. મૃતક અને ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ કેડેલ રોડ (Cadell Road) પર પ્રખ્યાત મખદૂમ શાહ દરગાહ (Makhdoom Shah Dargah) પાસે સ્થિત આઉટલેટના AC રિપેર કરતા ટેકનિશિયન હતા.

એસીમાં વિસ્ફોટ થવાની ઘટના માહિમ દરગાહ પાસે બની હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ટેકનિશિયનો રસ્તા પર ઘણા ફૂટ નીચે પટકાયા હતા. વિસ્ફોટથી હોટલના આગળના ભાગ અને ઉપરના ફ્લેટને પણ નુકસાન થયું હતું. ગ્રાઉન્ડ-પ્લસ-વન સ્ટ્રક્ચરની બાજુમાં જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાંના રહેવાસીએ કહ્યું હતું કે, ‘એસી રિપેર કરવા માટે ટેકનિશિયનો એક દિવસ પહેલા પણ આવી ગયા હતા. શુક્રવારે સમારકામ ચાલુ રાખવા માટે પાછા ફર્યા હતા. જાણે કંઈક ભયંકર થયું હોય તેવો અવાજ આવ્યો અને જોરદાર વિસ્ફોટ થયો હતો.’ રહેવાસી રિઝવાન ખાને કહ્યું હતું કે, ‘મારા બાળકો બહાર જ રમતા હોય છે. પણ સદ્નસીબે શુક્રવારે વરસાદ પડતો હતો એટલે તેઓ અંદર હતા એટલે બચી ગયા.’

ઓપરેશનના ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફૂડ આઉટલેટના એર-કંડિશનરના આઉટડોર યુનિટમાં વિસ્ફોટ સાંજે ૬.૧૫ વાગ્યે થયો હતો અને આગ ઓલવવામાં ફાયર કર્મચારીઓને ૨૫ મિનિટ લાગી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની પરિસ્થિતિ ગંભીર છે.

મૃતક ૩૮ વર્ષીય નૂર આલમને સાયન હોસ્પિટલ (Sion Hospital)માં પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજા ટેકનિશિયન, ૩૪ વર્ષીય પ્રવીણ પૂજારી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર છે, તે ૩૦% દાઝી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે, ઘાયલ થયેલા અન્ય લોકોમાં સંભવતઃ ફૂડ આઉટલેટમાં કામ કરતા લોકો તેમજ વ્યસ્ત રસ્તા પર પસાર થતા લોકો છે. જેમાં મુકેશ ગુપ્તા (૩૪), શિવમોહન (૨૪), દીપાલી ગોડાટકર (૨૪) સના શેખ (૨૫), શ્રીદેવી બાંડિછોડે (૩૧) અને કમલેશ જયસ્વાલ (૨૨)ને સામાન્ય ઇજાઓ થઈ હતી.

ફૂડ આઉટલેટના ઉપરના માળે રહેણાંક ઘર છે પરંતુ વિસ્ફોટ થયો ત્યારે રહેવાસીઓ બહાર હતા. જોકે, તેમના ઘરને વિસ્ફોટમાં નુકસાન થયું હતું. માતા શીના લાલા સાથે ઉપરના ઘરમાં રહેતા સાહિલ કાપડિયાએ કહ્યું કે, ‘સદભાગ્યે, અમે બંને બહાર હતા. ફક્ત અમારો આફ્રિકન ગ્રે પોપટ ઘરે હતો. તે ઠીક છે પણ તેણે ડરથી તેના બધા પીંછા ખેંચી નાખ્યા છે.’

આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

mahim fire incident mumbai mumbai news