07 March, 2026 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ બ્રિજ વીર સાવરકર રોડને લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ સાથે જોડશે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ભાંડુપમાં પ્રસ્તાવિત રેલવે ઓવર બ્રિજની ડિઝાઇન ચકાસવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના નિષ્ણાતોનો સંપર્ક કરશે. BMCના ઍડિશનલ કમિશનર અભિજિત બાંગરે ૫૩૦ મીટરના આ પુલના બાંધકામની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ તેમણે આ રેલવે ઓવર બ્રિજની ડિઝાઇન, ખાસ કરીને એના શાર્પ વળાંકની ડિઝાઇન IIT-Bના નિષ્ણાતો દ્વારા ચકાસવામાં આવે એવો નિર્દેશ આપ્યો હતો.
બ્રિજ કાર્યરત થયા પછી વાહનોની સલામત અવરજવરને ધ્યાનમાં રાખીને ટ્રાફિક સિમ્યુલેશન અભ્યાસ હાથ ધરવામાં આવશે. BMCના જણાવ્યા અનુસાર બ્રિજ વીર સાવરકર રોડ પર નીચે ઊતરે છે ત્યાં એક શાર્પ વળાંક આવે છે. જોકે ડિઝાઇન ટેક્નિકલ ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવી હતી. એમ છતાં જોખમ ટાળવા IIT નિષ્ણાતો પાસે ચકાસણી કરાવવામાં આવશે.
બ્રિજનું કામ ૩૦ ટકા પૂરું થઈ ગયું છે અને ૨૦૨૭ના જાન્યુઆરીમાં બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
આ બ્રિજ વીર સાવરકર રોડને લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ સાથે જોડશે અને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ અને નજીકના અન્ય માર્ગો પર મુસાફરીનો સમય પણ ઘટાડશે.