Mumbai Crime: બેન્ક અકાઉન્ટમાં KYC ડિટેલ્સ ભરી નથી! કહી બૉલીવુડ ડિરેક્ટરના ખાતામાંથી સાડા ત્રણ લાખ સેરવાયા

11 April, 2025 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: સાયબર માફિયાઓએ આ ડિરેક્ટર પાસેથી બેંકની KYC વિગતો અપડેટ કરવાના બહાને કેટલીક માહિતી માંગી હતી

પ્રતીકાત્મક તસવીર

Mumbai Crime: છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે હવે બોલિવૂડમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિ સાથે પણ ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાયબર માફિયાઓએ આ ડિરેક્ટર પાસેથી બેંકની KYC વિગતો અપડેટ કરવાના બહાને કેટલીક માહિતી માંગી હતી અને તે બહાને આ લોકોએ ડિરેક્ટરના 3.39 લાખ રૂપિયા સર્વી લીધા હતા. એમ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ચેતન દેસાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેઓને ગયા અઠવાડિયે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનું બેંક ખાતું બંધ કરી દેવામાં આવ્યું છે.

Mumbai Crime: પોતાનું બેન્ક ખાતું બંધ થઈ ગયું હોવાની વાતે ચેતન દેસાઇ મૂંઝવણમાં મુકાયા હતા. તેઓએ તરત જ જે નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો તેની પર ફોન કર્યો હતો. ફોન પર અજાણ્યા શખ્સે ચેતનભાઈને અધૂરી  કેવાયસી વિગતોને કારણે તેઓનું બેન્ક ખાતું બંધ કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાયબર માફિયાએ ચેતન દેસાઈને માહિતી અપડેટ કરવા માટે પણ કહ્યું હતું અને તેના માટે એક લિંક મોકલી હતી.

ચેતન દેસાઇએ લિંક ખોલી અને તેના એકાઉન્ટ નંબર, પાન કાર્ડ નંબર અને આધાર નંબર સહિતની માહિતી ભરી હતી. આ માહિતી ભર્યા બાદ તરત જ તેઓના ફોનમાં એકસાથે ઢગલાબંધ મેસેજનો થડકો થવા લાગ્યો હતો. આ બધા જ મેસેજ માં એવું લખ્યું હતું કે તમારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે.

એમ જોતાં ચેતન દેસાઈના બેન્ક ખાતામાંથી 3.39 લાખ રૂપિયા સેરવી લેવામાં (Mumbai Crime) આવ્યા હતા. પોતાના બેન્ક ખાતામાંથી આટલી મોટી રકમ સેરવી લેવામાં આવી હોવાની જાણ થતાં જ ચેતન દેસાઇએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

અત્યારે ચેતન દેસાઇના બેન્ક ખાતામાંથી જે બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર (Mumbai Crime) કરવામાં આવ્યા હતા તેને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

ચેતીને રહો- આ હેલ્પલાઈન પર જાણ કરો 

આ પ્રકારના કેસ વારંવાર બનતા હોય છે. માટે પોલીસ તંત્ર દ્વારા સતત લોકોને જાગૃત રાખવામાં આવે છે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી જ છે કે કોઈપણ અજાણી લિંક કે કોલ પર તેમની બેંક સંબંધિત કોઈ જ માહિતી શેર ન કરવી જોઈએ. જો તમને કોઈપણ પ્રકારનો શંકાસ્પદ મેસેજ કે કોલ આવે છે તો તમારે તાત્કાલિક ધોરણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવો જોઈએ.

mumbai news mumbai cyber crime Crime News mumbai crime news