બાંદ્રાની કૉલેજ સામે વિદ્યાર્થીઓનો બળવો: નકલી ડિગ્રી ફ્રૉડના આરોપમાં FIR નોંધાઈ

08 April, 2026 10:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Education Scam: B.D. Hiray College સામે લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોને લઈને હવે ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ કડક પગલું ભર્યું છે. વિદ્યાર્થીઓએ MNVS ના કાર્યકરો સાથે મળીને ખેરવાડી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

બી.ડી. હિરે કોલેજ (સૌજન્ય: મિડ-ડે)

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી B.D. Hiray College સામે લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોને લઈને હવે ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ કડક પગલું ભર્યું છે. વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના (Maharashtra Navanirman Vidyarthi Sena)ના કાર્યકરો સાથે મળીને ખેરવાડી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આ મામલે, MNVS રાજ્ય મહામંત્રી સંતોષ ગાંગુર્ડેએ આરોપ લગાવ્યો કે શિક્ષણ ક્ષેત્રમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે. તેમણે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે આવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે.

આ ફરિયાદ Bharatiya Nyaya Sanhita (BNS)ની કલમ 318(2) અને 318(4) હેઠળ નોંધવામાં આવી છે, જે છેતરપિંડી અને ફ્રોડ સાથે સંબંધિત છે.

મિડ-ડે દ્વારા 22 માર્ચે કરવામાં આવેલા અહેવાલ મુજબ, B.D. Hiray કૉલેજના ઇન્ટીરિયર ડિઝાઇન સ્ટડી સેન્ટરના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે કોર્સ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી તેમને માન્ય ડિગ્રી અથવા માર્કશીટ આપવામાં આવી નહોતી.

24 માર્ચે પ્રથમ બેચના કેટલાક વિદ્યાર્થીઓને માર્કશીટ મળ્યાની પુષ્ટિ થઈ હતી. જો કે, વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે માર્કશીટમાં વિષયો, પરીક્ષાની તારીખો અને માર્કસ જેવી મહત્ત્વપૂર્ણ વિગતો તેમના મૂળ અભ્યાસક્રમ સાથે મેળ ખાતી નહોતી. જેના કારણે આ દસ્તાવેજોની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

યુનિવર્સિટી અફીલીએશન અંગે ઉઠ્યા સવાલો

વિદ્યાર્થીઓએ પોલીસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે તેમની પાસેથી રૂ. 80,000 ફી લેવામાં આવી હતી અને તેમને જણાવાયું હતું કે સ્ટડી સેન્ટર “સંગાઈ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, મણિપુર” સાથે અફીલીએટેડ  છે. જો કે, બાદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા આ યુનિવર્સિટીનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું.

આ પછી કૉલેજે પોતાનું અફીલીએશન સિક્કિમ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે બતાવવાનું શરૂ કર્યું હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. આ ફેરફારથી વિદ્યાર્થીઓમાં તેમની ડિગ્રીઓની માન્યતા અંગે વધુ શંકાઓ ઉભી થઈ છે.

MNVS એ કડક કાર્યવાહીની માગ કરી

આ મામલે, MNVS રાજ્ય મહામંત્રી સંતોષ ગાંગુર્ડેએ આરોપ લગાવ્યો કે શિક્ષણ ક્ષેત્રમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે કેટલીક કોલેજોના ટ્રસ્ટીઓ અને આચાર્યો ઉચ્ચ શિક્ષણના લોભમાં વિદ્યાર્થીઓને નકલી અથવા અમાન્ય પ્રમાણપત્રો આપી રહ્યા છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગંભીર ખતરો છે અને સમગ્ર શિક્ષણ પ્રણાલી પર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે આવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે. "મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના આવી છેતરપિંડીની સખત નિંદા કરે છે અને જવાબદારો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માગ કરે છે," ગાંગુર્ડેએ ઉમેર્યું.

bandra Education manipur maharashtra navnirman sena mumbai news Crime News mumbai police news