23 May, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૩ દિવસની કાર્યવાહી અંતર્ગત તોડી પડાયેલા ગરીબનગરનો કાટમાળ હટાવવાની કાર્યવાહી સતત ચાલી રહી છે (તસવીર : સૈયદ સમીર અબેદી)
ગરીબનગરની ડિમોલિશન પ્રવૃત્તિની સાથે કાટમાળ હટાવવાની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘કાટમાળ દૂર કરવાની કામગીરી રાત-દિવસ આગળ વધી રહી છે. બાંદરા ટર્મિનસ બાજુ નજીક નૉર્થ સાઇડના કાટમાળનો લગભગ પચાસ ટકા કાટમાળ પહેલેથી જ દૂર કરી દેવામાં આવ્યો છે. એક વાર ડિમોલિશન અને કાટમાળ દૂર કરવાની કામગીરી પૂરી થઈ જાય પછી સમગ્ર વિસ્તારમાં બૅરિકેડિંગ અને ફેન્સિંગનું કામ શરૂ થશે.’
જોકે એ સાથે જ કાયદો અને વ્યવસ્થા અંગેની ચિંતાઓના જવાબમાં વિનીત અભિષેકે કહ્યું હતું કે અનેક સંભવિત પરિસ્થિતિઓ માટે વ્યાપક આયોજન પહેલેથી જ કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસ, ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમો સહિત સ્પૉટ પર દરરોજ લગભગ ૧૦૦૦થી ૧૨૦૦ કર્મચારીઓ તહેનાત રહે છે.