વિરાર-દહાણુની વચ્ચે આવતી કાલથી દોડશે ૧૫ ડબ્બાની લોકલ ટ્રેન

30 April, 2026 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્બર લાઇનમાં AC ટ્રેનની સર્વિસ બમણી થશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે આવતી કાલથી ૧૫ ડબ્બાની વધુ ટ્રેનો દોડાવશે, જ્યારે સેન્ટ્રલ રેલવે હાર્બર લાઇન પર AC લોકલની સંખ્યા બમણી કરશે.
વેસ્ટર્ન રેલવે દ્વારા ૧૫ ડબ્બાની નૉન-AC સર્વિસમાં ૧૭ નવી ફેરી ઉમરાશે. એનાથી ૧૫ ડબ્બાની સર્વિસની કુલ સંખ્યા ૨૨૭થી વધીને ૨૪૪ થશે. પહેલી વાર વિરાર-દહાણુ રોડ કૉરિડોર પર ૧૫ ડબ્બાની લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. ૧૭ નવી ફેરી પૈકી ૮ વિરાર-દહાણુ વચ્ચે અને ૯ ફેરી ચર્ચગેટ-વિરાર વચ્ચે ચલાવવામાં આવશે.

જોકે પ્લૅટફૉર્મની લંબાઈની મર્યાદાને કારણે ૧૫ ડબ્બાની આ ટ્રેનો ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ અને મરીન લાઇન્સ સ્ટેશનો પર ઊભી રહેશે નહીં. દાદર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પર આ ટ્રેનો ડબલ હૉલ્ટ લેશે. આ ઉપરાંત વેસ્ટર્ન રેલવેમાં ૧૨ નવી AC સર્વિસ પણ શરૂ કરવામાં આવશે.

સેન્ટ્રલ રેલવે દ્વારા હાર્બર લાઇનના મુસાફરો માટે પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી પનવેલ વચ્ચે ૧૪ નવી AC લોકલ સર્વિસ ઉમેરવામાં આવશે. આ સાથે જ હાર્બર લાઇન પર AC લોકલની દૈનિક સર્વિસ ૧૪થી વધીને ૨૮ થઈ જશે. પહેલી મેથી અમલી બનનારા આ ફેરફારોને પગલે રેલવેના ટાઇમટેબલમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવશે.

mumbai local train AC Local western railway virar dahanu mumbai mumbai news