01 February, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના જુહુ વિસ્તારમાં ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન એક એવી ઘટના (Mumbai News) બની હતી જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે સાંજના સમયે એક પિલર ધરાશાયી થઈ જતાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી.
શુક્રવારે સાંજે સાંતાક્રુઝ પશ્ચિમમાં એક ખાનગી શાળાના ડિમોલિશનના કામ દરમિયાન એક પિલર ધરાશાયી થવાની ઘટના બની હતી. આ પિલર તૂટી પડવાને કારણે ચાર લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટના સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી જુહુ તારા રોડ પર આવેલી માણિકજી કૂપર હાઈસ્કૂલને તોડી પાડવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના થઈ હતી.
સાંતાક્રુઝ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના (Mumbai News) જુહુ તારા રોડ પર માણિકજી કૂપર હાઈસ્કૂલમાં સાંજે 7.25 વાગ્યે બની હતી. શાળાના ડિમોલિશનની કામગીરી દરમિયાન પિલરનો કેટલોક ભાગ બાજુની ચાળ પર પડી ગયો હતો. જેને કારણે કેટલાંક લોકો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘાયલોને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં 24 વર્ષીય વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય બે લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી માહિતી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ વિશે (Mumbai News) વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે તોડી પાડવામાં આવેલ શાળાનો પિલર કે જે બાજુમાં આવેલી ચાળ પર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ ચાર માણસો ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાર ઘાયલ પૈકી એકની હાલત ગંભીર છે.
આ રહી એ અસરગ્રસ્તોની યાદી
આ સમગ્ર મામલે જે જે લોકો ઘાયલ થયા હતા તેમની નામની યાદી પણ બહાર આવી છે. ઇજાગ્રસ્તોની ઓળખ કમલેશકુમાર યાદવ (28 વર્ષ) તરીકે થઈ કે જે અત્યારે ડોક્ટર્સના નિરીક્ષણ હેઠળ છે. મનીષકુમાર સહાની (24 વર્ષ)ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તેમ જ બાકીના બે શામકુમાર યાદવ (20 વર્ષ ) અને કૃષ્ણકુમાર યાદવ (26 વર્ષ) બંનેને કૂપર હોસ્પિટલમાંથી સારવાર આપીને રજા પણ આપવામાં આવી છે.
વિધાનસભ્ય અમિત સાટમે મુલાકાત લીધી
વિધાનસભ્ય અમીત સાટમે પિલર તૂટી પડતાં ચાળની મુલાકાત લીધી હતી અને રહેવાસીઓને ખાતરી આપી હતી કે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. "પોલીસને કાયદાની યોગ્ય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે," તેમણે જણાવ્યું હતું.
તપાસ ચાલી રહી છે
Mumbai News: અત્યારે આ દુર્ઘટના બાબતે વધુ તપાસ ચાલી રહી છે અને સત્તાવાળાઓ પૂછપરછ કરી રહ્યા છે કે ડિમોલિશન કાર્ય હાથ ધરવા દરમિયાન ફરજિયાત તમામ સલામતી ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ?