મહિલા ઍડ્વોકેટની આત્મહત્યાના કેસમાં વરિષ્ઠ વકીલ અને તેમના પુત્ર સામે FIR

05 June, 2026 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિપ્રેશન અને ૪૦ કરોડ રૂપિયાની જમીનનો વિવાદ કારણભૂત

પ્રતીકાત્મક તસવીર

ગેટવે ઑફ ઇન્ડિયા નજીક દરિયામાંથી મહિલા ઍડ્વોકેટ સરિતા ઓસવાલનો મૃતદેહ મળી આવવાના મામલે કોલાબા પોલીસે એક સિનિયર ઍડ્વોકેટ અને તેમના પુત્ર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો દાખલ કર્યો છે. મરનારની બહેન સંગીતા શાહ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર અલીબાગના માંડવા ખાતે આવેલી ૪૦ કરોડ રૂપિયાની વડીલોપાર્જિત જમીનના સોદામાં થયેલી છેતરપિંડી અને ત્યાર બાદ અપાયેલા માનસિક ત્રાસને કારણે સરિતા ઓસવાલે આ અંતિમ પગલું ભર્યું હતું.

અગાઉ આ જમીનનો કેસ લડવા માટે સરિતા ઓસવાલે સંબંધિત વકીલને ૩૫ લાખ રૂપિયાની ફી ચૂકવી હતી. જોકે વકીલની ગેરહાજરીને કારણે સુપ્રીમ કોર્ટમાં સરિતાબહેને જાતે દલીલો કરીને કેસ જીત્યો હતો, જેનાથી આરોપી વકીલ નારાજ થયા હતા. બાદમાં પરિવારે આ જમીન આરોપી વકીલના પુત્રને ૪૦ કરોડ રૂપિયામાં વેચવાનો સોદો કર્યો હતો. જોકે આરોપીઓએ નક્કી કરેલી મુદત સુધીમાં માત્ર ૨.૫૭ કરોડ રૂપિયા ચૂકવીને બાકીની રકમ આપવામાં ઠાગાઠૈયા કરતાં પરિવારે નવેમ્બર ૨૦૨૫માં સોદો રદ કર્યો હતો.

સોદો રદ થતાં જ આરોપી વકીલે સરિતા ઓસવાલનું વકીલાતનું લાઇસન્સ રદ કરાવવા બાર કાઉન્સિલમાં તેમ જ ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) અને સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં પરિવાર સામે છેતરપિંડીની ખોટી ફરિયાદો કરી હતી. વર્ષોથી ડિપ્રેશનની સારવાર લઈ રહેલાં સરિતાબહેન આ કાનૂની ગૂંચવણો અને પોલીસ-પૂછપરછને કારણે ભારે માનસિક આઘાતમાં સરી પડ્યાં હતાં. ૨૦૨૬ની બીજી એપ્રિલે તેમણે વકીલના ત્રાસનો ઉલ્લેખ કરતી સુસાઇડ-નોટ લખી હતી અને ૧૦ એપ્રિલે તેમનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. 

suicide gateway of india Crime News mumbai crime news mumbai mumbai news mumbai police