12 September, 2026 09:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાન્દ્રા-વરલી સી-લિન્ક
બાન્દ્રા-વરલી સી-લિન્ક પરથી સમુદ્રમાં કૂદવાનો પ્રયાસ કરી રહેલા 28 વર્ષીય યુવકને ટોલ કર્મચારીઓ અને પોલીસે બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં યુવક શરૂઆતમાં સી-લિન્કની રૅલિંગ પાસે ઊભેલો જોવા મળે છે. ત્યારબાદ તે રૅલિંગ ઓળંગીને સમુદ્ર તરફ જવાનો પ્રયાસ કરે છે. જેવો તે કૂદવાનો પ્રયાસ કરે છે, કે તરત જ ટોલ કર્મચારીઓ, પોલીસ જવાનો અને અન્ય લોકો તેની તરફ દોડી જાય છે. તેઓ સાથે મળીને તે યુવકને કિનારેથી પાછો ખેંચી લે છે. ત્યારબાદ, પોલીસ જવાનો તેને ઘટનાસ્થળેથી લઈ જતા જોવા મળે છે.
અહેવાલો અનુસાર, આ યુવકની ઓળખ ઘનસોલીના રહેવાસી રોહન ગણેશ ભોસલે તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે તે રાત્રે લગભગ 10:30 વાગ્યે ઘનસોલીથી કૅબમાં સી-લિન્ક પર પહોંચ્યો હતો. કૅબમાંથી ઉતર્યા પછી, તેણે રૅલિંગ ઓળંગી અને સમુદ્ર તરફ આગળ વધ્યો. તેને જોતા જ ટોલ કર્મચારી સુમેધ સાવંત, સુરક્ષા રક્ષક સંદીપ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કદમ તથા પેડનેકર ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓએ યુવકને રૅલિંગથી દૂર સુરક્ષિત જગ્યાએ ખેંચી લીધો હતો. અહેવાલ છે કે બાદમાં તેને મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
એક અલગ ઘટનામાં, મુંબઈ પોલીસે ખાર નજીક સમુદ્રમાં કૂદી પડેલા 31 વર્ષીય યુવકને બચાવી લીધો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ જવાનો યુવકને બચાવવા માટે પાણીમાં ઉતરતા જોવા મળે છે. અહેવાલો અનુસાર, ખાર પોલીસને વાયરલૅસ મૅસેજ મળ્યો હતો કે એક યુવક સમુદ્રમાં આવેલા ખડક પર ઊભો છે અને તેને સમજાવવાના વારંવારના પ્રયાસો છતાં કિનારા પર પાછા આવવાનો ઇનકાર કરી રહ્યો છે.
માહિતી મળતાની સાથે જ હૅડ કૉન્સ્ટેબલ વિકાસ બાબરના નેતૃત્વમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ જવાનોએ યુવક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, તે દરમિયાન તેણે કથિત રીતે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. પોલીસ જવાનો તરત જ પાણીમાં ઉતરી ગયા. ભારે જહેમત બાદ તેઓ યુવક સુધી પહોંચ્યા, તેને બહાર કાઢ્યો અને સુરક્ષિત રીતે કિનારા પર લઈ આવ્યા. બન્ને ઘટનાઓમાં પોલીસ અને બચાવ ટીમોની કાર્યવાહીને કારણે યુવકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
દિશા સાલિયનનાં મૃત્યુના સંદર્ભમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે તેના પિતા સતીશ સાલિયન શુક્રવારે તેમના વકીલ નીલેશ ઓઝા સાથે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ઑફિસ પહોંચ્યા હતા. નીલેશ ઓઝાએ દાવો કર્યો હતો કે દિશા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. સતીશ સાલિયને તેમના નિવેદનમાં એવા લોકોનાં નામ આપ્યાં હતાં જેઓ કથિત રીતે આમાં સામેલ હોવાનો તેમણે દાવો કર્યો હતો. સતીશ સાલિયન અને નીલેશ ઓઝા બપોરે લગભગ બે વાગ્યે CBI ઑફિસ પહોંચ્યા હતા અને નિવેદન નોંધવાની પ્રક્રિયા સાંજે લગભગ 6.30 વાગ્યે પૂર્ણ થઈ હતી.