20 August, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલામત અને સુગમ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન માસ્ટર અને ઓપરેશનલ સ્ટાફ સતત દેખરેખ રાખી રહ્યા હતા
આજે સવારથી મુંબઈ (Mumbai)માં વરસાદ તો ચાલુ જ છે. પરંતુ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો (Mumbai Rains Updates) જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગે બુધવાર ૨૦ ઓગસ્ટ માટે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ ૨૦ ઓગસ્ટે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આવતીકાલ ગુરુવાર ૨૧ ઓગસ્ટથી વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના જણાવી છે.
ભારતીય હવામાન વિભાગે બુધવારે રાયગઢ (Raigad) અને પુણે (Pune) જિલ્લાના ઘાટ વિભાગો માટે રેડ એલર્ટ (Red Alert) જારી કર્યું છે.
જ્યારે હવામાન વિભાગે થાણે (Thane), પાલઘર (Palghar), રત્નાગિરી (Ratnagiri) અને સિંધુદુર્ગ (Sindhudurg)માં આજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મધ્યમથી ભારે વરસાદની શક્યતાને કારણે, નાગરિક અધિકારીઓ ચેતવણી પર છે.
ગઈકાલે ભારે વરસાદને કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન (Mumbai Local Train)નું સમયપત્રક અસ્તવ્યસ્ત થયું હતું. વેસ્ટર્ન રેલવે (Western Railway) સમય કરતા મોડી દોડતી હતી. જ્યારે હાર્બર રેલવે (Harbour Railway) અને સેન્ટ્રલ રેલવે (Central Railway) કેટલાક સમય માટે ઠપ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ આજે ફરી સેવાઓ કાર્યરત થઈ છે. પરંતુ તે સમય કરતાં મોડી દોડી રહી છે.
આજે સવારે પશ્ચિમ રેલવે સમયપત્રક કરતા ૧૦-૧૫ મિનિટ મોટી દોડી રહી છે.
જ્યારે ભારે વરસાદને કારણે પાટા પર પાણી ભરાઈ જવાને કારણે કામગીરી સ્થગિત થયાના ૧૫ કલાકથી વધુ સમય પછી, બુધવારે સવારે ૩ વાગ્યાની આસપાસ સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. નવી મુંબઈને દક્ષિણ મુંબઈ સાથે જોડતી હાર્બર લાઇન પર મંગળવારે સવારે ૧૧.૧૫ વાગ્યે ટ્રેક પર ૧૫ ઇંચ પાણી ભરાઈ ગયા બાદ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
મંગળવારે સાંજે ૭.૩૦ વાગ્યા સુધીમાં મધ્ય રેલવેની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને થાણે વચ્ચેની મુખ્ય લાઇન પર સેવાઓ ફરી શરૂ થઈ, પરંતુ પાટા પર પાણી ભરાઈ જવાને કારણે હાર્બર લાઇન મધ્યરાત્રિ પછી પણ બંધ રહી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવાર વહેલી સવારે પાણી ઓસરી ગયા પછી જ સેવાઓ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી શકાઈ છે.
બુધવારે સવાર સુધીમાં, સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ પાછી પાટા પર આવી ગઈ હતી, જોકે સવારના ધસારાના કારણે મુસાફરોએ ૨૦-૨૫ મિનિટ મોડી પડી હોવાનો અહેવાલ આપ્યો હતો.
એક દિવસ પહેલા થયેલા વિનાશમાંથી શહેર હવે સ્વસ્થ થઈ રહ્યું હોવાથી વહેલી સવાર સુધી કોઈ મોટા પાણી ભરાવાના કે ટ્રાફિક વિક્ષેપના અહેવાલ મળ્યા નથી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અમુક સ્થળોએ ટ્રાફિક જામની જાણ થઈ હતી, પરંતુ તેને વરસાદને કારણે થયેલી અસુવિધા માટે જવાબદાર ગણવામાં આવી ન હતી.