અંબરનાથ ફ્લાયઓવર પર કાર-ડ્રાઇવરે રૉન્ગ સાઇડથી આવીને ટૂ-વ્હીલરને ઉડાવ્યાં

22 November, 2025 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪ લોકોએ જીવ ગુમાવ્યો અને ૩ ઘાયલ

અંબરનાથ ઈસ્ટ-વેસ્ટને જોડતા બ્રિજ પર રૉન્ગ સાઇડ ધસી આવેલી કાર અને ટૂ-વ્હીલરની ટક્કરમાં એક વ્યક્તિ હવામાં ફંગોળાઈને ફ્લાયઓવરની નીચે પટકાઈ હતી.

અંબરનાથમાં ગઈ કાલે સાંજે એક કાર-ડ્રાઇવરે બૅલૅન્સ ગુમાવતાં કેટલાંક ટૂ-વ્હીલર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને ટૂ-વ્હીલરો અનેક મીટર સુધી દૂર ઢસડાયાં હતાં. આ ભીષણ અકસ્માતમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૩ લોકો ઘાયલ થયા છે.

અંબરનાથ ઈસ્ટ અને વેસ્ટને જોડતા ફ્લાયઓવર પર સાંજે ૭.૧૫ વાગ્યે વાહનો વચ્ચે થયેલી ટક્કરની અસર એટલી ગંભીર હતી કે ટૂ-વ્હીલર પર સવાર એક વ્યક્તિ હવામાં ઊછળીને ફ્લાયઓવરની નીચે પટકાઈ હતી. અકસ્માતને કારણે બે ટૂ-વ્હીલર સંપૂર્ણપણે કચડાઈ ગયાં હતાં. ફ્લાયઓવર પરથી વાહનો હટાવવાની કામગીરી અને અસરગ્રસ્તોને બચાવવાની કામગીરી દરમ્યાન ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.

અકસ્માતમાં અન્ય ૩ વ્યક્તિને ઈજાઓ થઈ હતી. તેમને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

road accident ambernath mumbai mumbai news mumbai police