15 September, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai) અને તેના ઉપનગરોમાં રાત્રિ દરમિયાન હળવા વરસાદ બાદ, મંગળવારે પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે. ભારત હવામાન વિભાગ (India Meteorological Department) ની તાજેતરની માહિતી અનુસાર, આ સપ્તાહ દરમિયાન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાની પ્રવૃત્તિ પ્રમાણમાં (Mumbai Weather Updates) ધીમી રહેશે, જેના કારણે મુંબઈ માટે હવામાન વિભાગ દ્વારા કોઈ સત્તાવાર એલર્ટ કે ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, મુંબઈ અને તેના ઉપનગરીય વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ (Mumbai Weather today) રહેશે. જોકે, વ્યાપક અને ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન અધિકારીઓએ આ વાતાવરણ માટે સ્થાનિક સ્તરે ભેજનું પ્રમાણ અને મોસમી પવનના મિશ્રણને જવાબદાર ગણાવ્યું છે, જેના કારણે મુંબઈ મહાનગર ક્ષેત્ર (Mumbai Metropolitan Region) માં સમયાંતરે હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.
હળવા વરસાદની સાથે તટીય અને આંતરિક વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ગાજવીજ સાથેના વરસાદી ઝાપટાં દરમિયાન પવનની ઝડપ વધીને ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તાપમાન અંગે IMD એ આગાહી કરી છે કે, મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્શિય્સથી ૩૩ ડિગ્રી સેલ્શિય્સની આસપાસ રહેશે, જ્યારે સવારે ન્યૂનતમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્શિય્સથી ૨૯ ડિગ્રી સેલ્શિય્સ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાના કારણે વરસાદના ઝાપટાં વચ્ચે બફારાનો અનુભવ થઈ શકે છે.
ભારે વરસાદમાં ઘટાડો થયો હોવા છતાં, સતત હળવા ઝાપટાં અને સક્રિય પવનના કારણે શહેરની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. સત્તાવાર પર્યાવરણીય ડેટા અનુસાર, મંગળવારે સવારે મુંબઈનો ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (Air Quality Index) `સારી` (Good) શ્રેણીમાં જળવાઈ રહ્યો હતો. પર્યાવરણ નિષ્ણાતોના મતે, સમયાંતરે પડતાં ઝાપટાં રજકણો અને પ્રદૂષકોને ધોઈ નાખવામાં મદદ કરે છે, જેથી નાગરિકોને સ્વચ્છ હવા મળે છે.
આગામી સપ્તાહ માટે હવામાન અંગેની કોઈ ગંભીર ચેતવણી ન હોવાથી, મુંબઈ, ઠાણે (Thane) અને આસપાસના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ચોમાસાની સ્થિતિ સામાન્ય રહેવાની અપેક્ષા છે. છતાં, નાગરિક સત્તાવાળાઓ અને હવામાન નિષ્ણાતોએ વાહનચાલકો અને મુસાફરોને સાવચેતી રાખવાની સલાહ આપી છે, કારણ કે પવન સાથે પડતાં અચાનક ભારે ઝાપટાંના કારણે દ્રશ્યતા (visibility) ઘટી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી શકે છે.