23 August, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે
છેલ્લા એક અઠવાડિયાથી વાદળિયું હવામાન અને ધોધમાર વરસાદને કારણે હેરાન થયેલા મુંબઈગરા ગઈ કાલે બીજા દિવસે પણ સતત ઉઘાડ નીકળતાં ખુશ થઈ ગયા હતા અને રોજિંદી પ્રવૃત્તિમાં ગૂંથાઈ ગયા હતા. જોકે ગઈ કાલે ફરી એક વાર વાદળ છવાઈ ગયાં હતાં. બે દિવસથી વરસાદનાં છૂટાંછવાયાં ઝાપટાં પડી રહ્યાં છે, પણ ધોધમાર વરસાદથી છુટકારો મળતાં મુંબઈગરાએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગઈ કાલે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે સમયસર દોડી રહી હતી. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઇવે સહિત રોડ પર પણ નૉર્મલ ટ્રાફિક જોવા મળ્યો હતો. બુધવાર પછી વરસાદનું જોર ઘટ્યું હતું અને ગુરુવારે અને શુક્રવારે તડકો પણ પડ્યો હતો. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હજી મંગળવાર સુધી મુંબઈ સહિત કોકણ અને ગોવામાં વરસાદનાં મધ્યમ ઝાપટાં પડતાં રહેશે. એ પછી ગણપતિબાપ્પાના આગમન સાથે ૨૭ ઑગસ્ટથી ફરી એક વખત ભારે વરસાદની સંભાવના હોવાની આગાહી કરવામાં આવી છે.