28 April, 2026 10:11 AM IST | Mumbai | Bakulesh Trivedi
ટેક્નિકલ ઇશ્યુને કારણે સવા કલાક કરતાં વધુ નીકળી જવા છતાં લગેજ કન્વેયર બેલ્ટ પર ન આવતાં પરેશાન પૅસેન્જરોએ ઍરપોર્ટ મૅનેજરને બોલાવીને ફરિયાદ કરી હતી.
વાજતે-ગાજતે નવી મુંબઈ ઍરપોર્ટ ચાલુ તો થયું છે, પણ ઍરપોર્ટ પરના ધાંધિયાને લઈને પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડે છે. ગઈ કાલે પરેલમાં રહેતા રમણીક કારિયાને મૅન્ગલોરથી પાછા ફર્યા બાદ સવા કલાક કરતાં વધુ સમય સુધી લગેજ જ મળ્યું નહોતું.
આ વિશે માહિતી આપતાં રમણીક કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું ૨૦ જણનું ગ્રુપ હતું. અમે મૅન્ગલોરથી મુંબઈની ફ્લાઇટ પકડી હતી. ફ્લાઇટમાં કુલ ૧૮૦ પૅસેન્જર હતા. અમે ૩ મહિના પહેલાં ટિકિટ કઢાવી હતી. અમને મૅન્ગલોર પર ગઈ કાલે છેક છેલ્લી ઘડીએ કહેવામાં આવ્યું કે ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર નહીં પણ નવી મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થશે. અમે એ પણ માન્ય કરી લીધું હતું. ખરું જોતાં નવી મુંબઈ ઍરપોર્ટથી અહીં આવવામાં લગભગ ૩૦૦૦ રૂપિયા ટૅક્સીના લાગી જાય છે. રોડ-ટ્રાન્સપોર્ટ સિવાય બીજો કોઈ ઑપ્શન નથી. આપણે સમજો ઘરેથી ગાડી મગાવીએ તો એણે પણ અહીં પહોંચવા ૩ કલાક પહેલાં નીકળી જવું પડે છે. અમારી તકલીફ તો નવી મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યા પછી ચાલુ થઈ હતી. અમારી ફ્લાઇટનો ફ્લાઇંગ ટાઇમ એક કલાક ૧૦ મિનિટનો હતો અને અમે બરાબર સમયસર ઊતરી ગયા હતા. જોકે એ પછી ૧.૨૦ કલાક સુધી અમારું લગેજ કન્વેયર બેલ્ટ પર આવ્યું જ નહીં. એક કલાક સુધી તો ત્યાંનો ઑપરેશન મૅનેજર અભિષેક પણ તેની જ ઑફિસમાં બેસી રહ્યો હતો. અમે જ્યારે રજૂઆત કરી ત્યારે તે આવ્યો અને એ પછી થોડી વાર બાદ અમારો સામાન બેલ્ટ પર મુકાવો ચાલુ થયો. અમારા ફ્લાઇંગ ટાઇમ કરતાં તો અમારે લગેજ માટે વધુ વખત રોકાવું પડ્યું.’
આ બાબતે નવી મુંબઈ ઍરપોર્ટ ઑથોરિટી સાથે ફોન પર વાત કરીને ચોક્કસ કારણ જાણવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી ત્યારે ઍરપોર્ટ ઑપરેશન્સ તરફથી કહેવામાં આવ્યું કે ‘હા, વાત સાચી છે. ગઈ કાલે ટેક્નિકલ ઇશ્યુ આવ્યો હતો. પૅસેન્જર્સનું લગેજ નીચેથી ઉપર કન્વેયર બેલ્ટ પર લાવવાના મશીનનું સેન્સર કામ નહોતું કરી રહ્યું જેને કારણે આ ડિલે થયું હતું. મશીન છે, ફૉલ્ટ આવી શકે. બીજું ઇન્ડિગો પાસે મેનપાવર પણ ઓછો છે એટલે તેમનું લગેજ આવવામાં પણ ડિલે થતું હોય છે. આવું ગઈ કાલે પહેલી જ વાર બન્યું. હવે પછી અમે વધુ અલર્ટ રહીશું.’