07 June, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ સંસદસભ્ય નવનીત રાણા અને NCPના નેતા છગન ભુજબળ.
નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેતાં એ પદ ખાલી થયું હોવાથી તેમના સ્થાને કોને બેસાડવામાં આવશે એ વિશે શનિવારે જોરદાર ચર્ચા ચાલી હતી. સુનેત્રા પવારના સ્થાને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના જ કોઈક નેતાને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા શરૂ છે ત્યારે અમરાવતીનાં ભૂતપૂર્વ અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા અને NCPના નેતા છગન ભુજબળ એ બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવી શકે છે.
આ બાબતે ચર્ચા કરવા NCPના નેતા સુનીલ તટકરે, પાર્થ પવાર, પ્રફુલ પટેલ અને છગન ભુજબળ શનિવારે બપોરે એક વાગ્યે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા પર જઈને તેમને મળ્યા હતા. રાજ્યસભાની સીટ પરથી NCPનાં સુનેત્રા પવારે રાજીનામું આપ્યું હોવાથી NCPને જ આ બેઠક મળવી જોઈએ એવો આગ્રહ હોવાનું મનાય છે ત્યારે ગઈ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) વતી લડીને હારનો સામનો કરનારાં નવનીત રાણાને પણ રાજ્યસભામાં મોકલવાની હિલચાલ ચાલી રહી હોવાનું કહેવાય છે.
કેરલમમાં મોડું, પણ મહારાષ્ટ્રમાં શનિવારે સમયસર બેસ્યું ચોમાસું
ભારતમાં ચોમાસું ક્યારે બેસે છે એ માટે કેરલમમાં ચોમાસાનું આગમન થાય એની રાહ જોવાય છે, પરંતુ આ વખતે કેરલમમાં ચોમાસાનું આગમન ત્રણ દિવસ મોડું થયું હોવા છતાં હવામાન ખાતાની આગાહી મુજબ છઠ્ઠી જૂને સત્તાવાર રીતે ચોમાસાનું આગમન મહારાષ્ટ્રમાં થઈ ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે પહેલી જૂને કેરલમમાં નૈઋત્યનું ચોમાસું બેસે એવી શક્યતા હોવા છતાં ચોથી જૂને કેરલમમાં ચોમાસું બેસ્યું હતું. ત્રણ દિવસ મોડું ચોમાસું બેસ્યું હોવા છતાં મહારાષ્ટ્રમાં કોકણમાં છઠ્ઠી જૂને જ ચોમાસું બેસ્યું હતું
.