07 May, 2026 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પરેલ વિસ્તારમાં ચાલી રહેલા શિવડી-વરલી કનેક્ટરના કન્સ્ટ્રક્શન દરમ્યાન એક અકસ્માત થયો હતો. ક્રેન દ્વારા લોખંડની ભારે ફ્રેમ હટાવતી વખતે સર્જાયેલા અકસ્માતમાં ૧૯ વર્ષના
નેપાલી શ્રમિકે જીવ ગુમાવ્યો હતો. આ મામલે ભોઈવાડા પોલીસે બે લોકો સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.
પોલીસ આપેલી માહિતી મુજબ સોમવારે મધરાતે ૧૨.૧૫ વાગ્યે KEM સર્કલ પાસે જે. કુમાર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. એ માટે શ્રમિકો આચાર્ય દોંડે માર્ગથી પરેલ તરફ લોખંડની ભારે ફ્રેમ્સ લઈ જઈ રહ્યા હતા. એ સમયે ક્રેન ઑપરેટર જ્યારે લોખંડની ફ્રેમ ઉઠાવી રહ્યો હતો ત્યારે તેની ભૂલને કારણે હવામાં લટકતી ભારે ફ્રેમ જોરથી ઝૂલી હતી અને સીધી ત્યાં ઊભેલા મજૂરની છાતી તથા પેટના ભાગે અથડાઈ હતી. ફ્રેમ ભારે હોવાથી શ્રમિકને ગંભીર ઈજા થઈ હતી અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો.
શ્રમિકને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન પરોઢિયે ૩ વાગ્યે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ભોઈવાડા પોલીસે આ મામલે સાઇટ સુપરવાઇઝર અનિલ ગિરિ અને ક્રેન ઑપરેટર સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.