ન્યૂઝ શોર્ટમાં: મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે અને નવી મુંબઈમાં ભારે વાહનો પર પ્રતિબંધ

28 February, 2026 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ કમિશનરેટની હદમાં પણ ભારે વાહનોના પ્રવેશ અને પાર્કિંગ પર સવારે ૬ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ખારઘરમાં હિંદ-દી-ચાદર શ્રી ગુરુ તેગબહાદુર સાહેબજીના ૩૫૦મા શહીદ સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે એટલે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ટ્રાફિક-વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટે ૨૮ ફેબ્રુઆરી અને પહેલી માર્ચે હાઇવે પર છ અને દસ પૈડાંવાળાં વાહનો સહિત તમામ ભારે વાહનો પર પ્રતિબંધની જાહેરાત કરી છે. નવી મુંબઈ કમિશનરેટની હદમાં પણ ભારે વાહનોના પ્રવેશ અને પાર્કિંગ પર સવારે ૬ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તુર્ભેના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ

તુર્ભેના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ગઈ કાલે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. એને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આગની જાણ થતાં જ  ફાયર-ફાઇટિંગ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગનો વ્યાપ વધી જતાં એને કાબૂમાં લેવા માટે નેરુળ, કોપરખૈરણે, ઐરોલી, વાશી, બેલાપુર તેમ જ MIDC વિભાગના ફાયર-બ્રિગેડનાં ફાયર-એન્જિનો મગાવવામાં આવ્યાં હતાં. વાશી ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું કે ‘સવારે પાંચ વાગ્યે આગ લાગી હોવાની જાણ થઈ હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.’ 

આવતી કાલથી ફોર્ટમાં શ્રી અખિલ કચ્છ વાગડ ‌ક્રિકેટ ટુર્નામેન્ટ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોર્ટ ગ્રુપ દ્વારા ચર્ચગેટમાં આવેલા ઓવલ મેદાનમાં આવતી કાલે અને મંગળવારે ત્રીજી માર્ચે ધુળેટીના દિવસે શ્રી અખિલ કચ્છ વાગડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ ઇલેવન, યારી ઇલેવન, ફોર્ટ ઇલેવન, ઠાકોર ઇલેવન, સ્ટાર સ્કવૉડ ઇલેવન, આલમદાર ઇલેવન, નમો ઇલેવન, રૉયલ ઇલેવન, કચ્છ કેસરી ઇલેવન, ક્રિષ્ના ઇલેવન, આશાપુરા ઇલેવન, દાણુવે ઇલેવન, ગોરાઈ ઇલેવન, મુરલીધર ઇલેવન, ઈગલ ચાર્જર ઇલેવન અને NGM બૉય ઇલેવન એમ કુલ ૧૬ ટીમ ભાગ લઈ રહી છે અને તેમની વચ્ચે લીગ રાઉન્ડ, ક્વૉર્ટર ફાઇનલ, સેમી-ફાઇનલ અને ફાઇનલમાં ૮-૮ઓવરનો જંગ જામશે. ૨૦૦૨થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ગયા વર્ષે યારી ઇલેવન ચૅમ્પિયન બની હતી. આવતી કાલે સવારે ૬.૩૦ વાગ્યે સમાજના અગ્રણીઓ, મહેમાનો અને ખેલાડીઓની હાજરીમાં  ટુર્નામેન્ટનું ઉદ‌્ઘાટન શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ કાનજીભાઈ પટેલના હસ્તે થશે. મંગળવારે સાંજે ૪ વાગ્યે ઇનામ-વિતરણ સમારોહ યોજાશે.

mumbai news mumbai kharghar ahmedabad national highway gujarati community news jain community cricket news fire incident vashi