ન્યૂઝ શોર્ટમાં: સોલો ટ્રેકિંગ કરવા નીકળેલા ભિવંડીના યુવાનનું ઇર્શાળગડની ખીણમાં પડી જવાથી મોત

14 April, 2026 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાયગડના ઇર્શાળગડમાં ટ્રેકિંગ માટે ગયેલા ભિવંડીના યુવાનનું ખીણમાં પડી જવાથી મૃત્યુ થયું હતું

આકાશ વાઘમોડે

રાયગડના ઇર્શાળગડમાં ટ્રેકિંગ માટે ગયેલા ભિવંડીના યુવાનનું ખીણમાં પડી જવાથી મૃત્યુ થયું હતું. રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકાની ઇર્શાળવાડીમાં આ અકસ્માત થયો હતો. ભિવંડીનો ૨૬ વર્ષનો આકાશ વાઘમોડે રવિવારે ઇર્શાળગડમાં એકલો ટ્રેકિંગ માટે ગયો હતો. જોકે તે ખીણમાં પડી ગયો હતો. આકાશની બાઇક ઇર્શાળગડની તળેટીમાં મળી આવી હતી, પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી પોલીસે તપાસ શરૂ કરી હતી. સોમવારે ખાલાપુર પોલીસ અને ખોપોલીમાં હેલ્પ ફાઉન્ડેશને શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે આકાશ ખીણમાં પડી ગયો હતો અને તેનું મોત થયું હતું. આકાશનો મૃતદેહ ખીણમાં ઇર્શાળગડની તળેટીમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ઘટનાની તપાસ કરીને તેના પરિવારને જાણ કરી હતી. 

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ડમ્પરની ટક્કરથી બે વ્યક્તિનાં થયાં મોત

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિક્રોલી પાસે રવિવારે સાંજે એક પૂરઝડપે આવી રહેલા ડમ્પર ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે જણનાં મોત થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે મુંબઈ તરફના હાઇવે પર રવિવારે સાંજે ૫.૨૫ વાગ્યે આ અકસ્માત થયો હતો. ડમ્પર-ડ્રાઇવરે બેદરકારીપૂર્વક ડમ્પર દોડાવીને બાઇકને ઉડાડી દીધી હતી. આ ટક્કરમાં બન્નેને ગંભીર ઈજા થઈ હતી. ઘાયલોને રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, પણ સાંજે ૬.૨૦ વાગ્યે ડૉક્ટરોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ડમ્પર-ડ્રાઇવર સાથે ડમ્પરને કસ્ટડીમાં લીધું છે. ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પાલઘર અને થાણે માટે ૧૨ નવી હાઈ સ્પીડ પૅટ્રોલિંગ બોટ ખરીદવાનો પ્રસ્તાવ

ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP)એ પાલઘર અને થાણે જિલ્લાના દરિયાકાંઠાની સુરક્ષા માટે ૧૨ નવી અત્યાધુનિક હાઈ-સ્પીડ પૅટ્રોલિંગ બોટની ખરીદી કરવા માટે રાજ્ય સરકારને એક વિગતવાર પ્રસ્તાવ મોકલાવ્યો છે. પાલઘર જિલ્લો ઝાઈથી વસઈ સુધીનો લાંબો દરિયાકિનારો ધરાવે છે, જ્યારે થાણે જિલ્લાનો મીરા-ભાઈંદર વિસ્તાર પણ વિશાળ દરિયાઈ પટ્ટામાં ફેલાયેલો છે. હાલમાં આ વિસ્તારોમાં પૅટ્રોલિંગ માટે જે બોટ વપરાય છે એ પૈકીની મોટા ભાગની બોટ જૂની અને જર્જરિત થઈ ગઈ છે, જ્યારે કેટલીક બોટ ભાડાના ધોરણે મેળવીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. 

દરેક વિસ્તાર માટે ૪-૪ બોટની ફાળવણી: આ પ્રસ્તાવ મુજબ કુલ ૧૨ અત્યાધુનિક પૅટ્રોલિંગ બોટમાંથી પાલઘર જિલ્લા માટે ૪, વિરાર માટે ૪ અને મીરા-ભાઈંદર માટે ૪ બોટ ફાળવવાનું આયોજન છે.

mumbai news mumbai palghar thane eastern express highway road accident bhiwandi