ન્યૂઝ શોર્ટમાં: વેસ્ટર્ન રેલવેમાં મેલ ટ્રેનમાં ચેઇન-પુલિંગ થયું, સવારની લોકલ ટ્રેનો અટવાઈ ગઈ

05 February, 2026 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુસાફરોની હાલત કફોડી બની હતી. મુસાફરોએ સોશ્યલ મીડિયા પર પીક અવર્સ દરમ્યાન સર્જાયેલી અંધાધૂંધીની ફરિયાદ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

બુધવારે સવારથી જ વેસ્ટર્ન રેલવેના રૂટ પર ટ્રેનો મોડી પડી હતી. વિરાર અને ચર્ચગેટ વચ્ચે ટ્રેનો દસથી ૫૦ મિનિટ મોડી પડવાને કારણે પીક અવર્સમાં મુસાફરોને ભારે હાલાકી થઈ હતી. પ્લૅટફૉર્મ પર પણ મુસાફરોની ભીડ થતાં 

મુસાફરોની હાલત કફોડી બની હતી. મુસાફરોએ સોશ્યલ મીડિયા પર પીક અવર્સ દરમ્યાન સર્જાયેલી અંધાધૂંધીની ફરિયાદ કરી હતી. 

મુસાફરોએ જણાવ્યું હતું કે વિરારથી બોરીવલી સામાન્ય રીતે લગભગ ૩૭ મિનિટ થાય છે, પણ એ ટ્રેનો ૪૫ મિનિટ જેટલી મોડી પડી હતી જેને લીધે ટ્રેનો ખીચોખીચ ભરાઈ ગઈ હતી; જ્યારે અમુક ટ્રેનો પચીસ મિનિટ જેટલી મોડી ઊપડી હતી. આ રૂટ પરથી પસાર થતી એક મેલ એક્સપ્રેસ ટ્રેનમાં ચેઇન-પુલિંગ થયું હોવાને કારણે લોકલ ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું હોવાની વેસ્ટર્ન રેલવેએ સ્પષ્ટતા કરી હતી.

મહારાષ્ટ્ર સરકાર ૬ માર્ચે નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ માટે રાજ્યનું બજેટ રજૂ કરશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ વખતનું બજેટ રજૂ કરશે.

રાજ્ય વિધાનસભાનું બજેટસત્ર ૨૩ ફેબ્રુઆરીથી મુંબઈમાં શરૂ થશે. બજેટ રજૂ કરવાની તારીખ અગાઉ સ્વર્ગસ્થ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ૬ માર્ચ નક્કી કરી હતી. તેઓ નાણાં ખાતું પણ સંભાળતા હતા. અજિત પવારના અવસાન પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફાઇનૅન્સ ઍન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળી છે. રાજ્યનો આર્થિક સર્વે બજેટના એક દિવસ પહેલાં પાંચમી માર્ચે રજૂ કરવામાં આવશે.અગાઉ એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે નાણાપ્રધાન તરીકે ૨૦૨૩ના માર્ચમાં તેમનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. મુખ્ય પ્રધાન બજેટ રજૂ કરે એવી આ બહુ ઓછી બનતી બાબત છે.

ડોમ્બિવલીમાં અન્ડર-કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેન-અકસ્માતમાં મજૂરનું મોત

ડોમ્બિવલ-ઈસ્ટના શિર્ધોન ગામમાં ચાલતા એક હાઉસિંગ પ્રોજેક્ટની નિર્માણાધીન સાઇટ પર ક્રેન-અકસ્માતમાં ૪૦ વર્ષના મજૂર વિજયનાથ કુશવાહાનું મંગળવારે મૃત્યુ થયું હતું. આ મામલે માનપાડા પોલીસે ગઈ કાલે અકસ્માત-મૃત્યુનો કેસ નોંધીને કામસ્થળે સુરક્ષા-નિયમોનું પાલન થયું હતું કે નહીં એ વિશે તપાસ હાથ ધરી છે. સોમવાર સાંજે કામ દરમ્યાન ક્રેનનો હુક વાગતાં વિજયનાથને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં મંગળવરે સાંજે તેનું મૃત્યુ થયું હતું. માનપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિજયનાથ ક્રેન-ઑપરેટર તરીકે કામ કરતો હતો. ઘટનાના સમયે તે એક ટે​ક્નિશ્યન સાથે મળીને ક્રેન-મશીનમાં કામ કરી રહ્યો હતો ત્યારે હુક અચાનક હાથમાંથી સરકી ગયો હતો અને હુક સીધા વિજયનાથના માથા પર વાગ્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં, ખૂબ જ લોહી નીકળવા લાગતાં એ સમયે હાજર અન્ય કર્મચારીઓએ તેને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે તેને KDMC સંચાલિત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં મંગળવારે સાંજે સારવાર દરમ્યાન વિજયનાથનું મૃત્યુ થયું હતું.’

mumbai news mumbai western railway mumbai local train