ન્યૂઝ શોર્ટમાં: વટ સાવિત્રી માટે ફણસના ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે

28 June, 2026 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલે વટ પૂર્ણિમા છે ત્યારે ગઈ કાલથી જ માર્કેટમાં ફણસના ઢગલેઢગલા જોવા મળી રહ્યા હતા અને ખાસ કરીને મરાઠી મહિલાઓ એની ખરીદી કરતી જોવા મળી હતી. 

તસવીર : આશિષ રાજે

સાવિત્રીએ વડના ઝાડ નીચે બેસીને તેના મૃત પતિનો આત્મા મેળવવા પૂજન કર્યું હતું એ પૌરાણિક કથાને લઈને આજે પણ મહારાષ્ટ્ર સહિત દેશમાં અન્યત્ર વટ સાવિત્રી (વટ પૂર્ણિમા)નું પૂજન થાય છે. એમાં વડની ૭ દોરાથી પ્રદક્ષિણા કરીને ૭ જન્મ માટે પત્ની પતિને સુખરૂપ અને સ્વસ્થ રાખવા પ્રાર્થના કરે છે. એ પૂજામાં જે પણ ૭ સીઝનલ ફ્રૂટ્સ હોય એ નૈવેદ્ય તરીકે ધરાવી શકાય છે. એથી મહારાષ્ટ્રમાં કેરી, જાંબુ સાથે આ સીઝનમાં મળતા ફણસનો પણ પ્રસાદ ધરાવવામાં આવે છે. આવતી કાલે વટ પૂર્ણિમા છે ત્યારે ગઈ કાલથી જ માર્કેટમાં ફણસના ઢગલેઢગલા જોવા મળી રહ્યા હતા અને ખાસ કરીને મરાઠી મહિલાઓ એની ખરીદી કરતી જોવા મળી હતી. 

ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા લઈ રહ્યાં છે ડિવૉર્સ, એક વર્ષથી અલગ રહે છે

‘અનુપમા’ના અનુજ કાપડિયા તરીકે અત્યંત ફેમસ થયા પછી રિયલિટી શો ‘બિગ બૉસ’ જીતેલો ગૌરવ ખન્ના અને તેની પત્ની આકાંક્ષા ચમોલા આખરે છૂટાં પડી રહ્યાં છે. નેટફ્લિક્સના રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝનના પ્રથમ એપિસોડમાં આ જાહેરાત ખુદ આકાંક્ષાએ કરી છે. આ વખતે શોને રિતેશ દેશમુખ અને ફારાહ ખાન હોસ્ટ કરી રહ્યાં છે. શો-કન્ટેસ્ટન્ટ આકાંક્ષાની ડિવૉર્સની જાહેરાતથી રિતેશ દેશમુખ અને ફારાહ ખાન તો ચોંકી ઊઠ્યાં જ હતાં, પણ બધાને આંચકો લાગ્યો હતો. આકાંક્ષાએ કહ્યું હતું કે ‘હું અને ગૌરવ ડિવૉર્સ લઈ રહ્યાં છીએ. છેલ્લા એક વર્ષથી અમે સેપરેટ જ રહેતાં હતાં. જોકે લોકોને એની જાણ નથી.’

જય ભવાની, જય શિવાજીના નાદથી ઊજવાયો છત્રપતિ શિવાજી મહારાજનો ૩૫૩મો રાજ્યાભિષેક દિવસ

રાયગડ કિલ્લા પર શનિવારે છત્રપતિ શિવાજી મહારાજનો ૩૫૩મો રાજ્યાભિષેક દિવસ ઊજવાયો હતો. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પારંપરિક રીતે એની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે તિથિ પ્રમાણે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો એ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દરમ્યાન રાયગડના વિકાસ માટે યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી અને એને ટૂંક સમયમાં જ મંજૂરી પણ મળી જશે એવો વાયદો એકનાથ શિંદેએ કર્યો હતો.

નાગપુરમાં પણ ભવ્ય ઉજવણી

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૫૩મી ઍનિવર્સરી પર નાગપુરમાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને એમાં વિવિધ કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું.

mumbai news mumbai culture news festivals hinduism gaurav khanna central railway nagpur shivaji maharaj