23 October, 2021 03:22 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં ડ્રગ્સ મામલે ચાલી રહેલી કાર્યવાહીને લઈ અનેક વાર શિવસેના અને એનસીપીએ NCB પર આડકતરી રીતે વાર કર્યા છે. ત્યારે એક વાર ફરી રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એનસીબી પર નિશાન સાધ્યું છે. એનસીબી પર તીખો વાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસે હિરોઈન (અભિનેત્રી) નહીં હેરોઈન (ડ્રગ્સ) પકડ્યું એટલે તેમને પબ્લિસિટી ના મળી. હકીકતમાં મહારાષ્ટ્ર પોલીસે હાલમાં જ 25 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થઓ ઝડપી પાડ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન શુક્રવારે મુંબઈ, પુના અને નાગપુરમાં અત્યાધુનિક ફોરેન્સિક લેબના ઉદ્ઘાટનમાં દરમિયાન આપ્યું હતું. મુખ્યપ્રધાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસ મામલે અભિનેત્રી અનન્યા પાંડેની પણ પૂછપરછ કરવામાં આવી.
પોતાના નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ` આ દિવસોમાં માત્ર એક જ વાત થઈ રહી છે ડ્રગ્સ, ડ્રગ્સ અને ડ્રગ્સ. દશેરાની રેલી દરમિયાન પણ મેં કહ્યું હતું કે જાણે પુરી દુનિયાના ડ્રગ્સનું વેચાણ મહારાષ્ટ્રમાં જ કરવામાં આવતું અને તેને માત્ર એક વિશેષ ટીમ (NCB) જ પકડતું હોય તેવી તસવીર બનાવવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવમાં એવું નથી.
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, અમારી મુંબઈ પોલીસે ચાર દિવસ પહેલા 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તેમણે હિરોઈન નહીં હેરોઈન પકડ્યું. એટલા માટે તેમને પબ્લિસિટી ના મળી. પંરતુ તેમણે અમને ગર્વ મહેસુસ કરાવ્યો. ત્યાં સુધી કે કોઈ તેમનું નામ પણ નથી જાણતાં.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ દિલીપ વાલસે પાટીલે કહ્યું, આપણે તેમનું સન્માન કરવુ જોઈએ. મહારાષ્ટ્ર પોલીસ ફોર્સ મજબૂત અને કુશળ છે, તથા અપરાધ પ્રત્યે ક્યારેય તેમની ઢીલાશ હોતી નથી. આ પ્રતિષ્ઠાને કેટલાક લોકો દ્વારા જાણીજોઈને બદનામ કરવામાં આવી રહી છે.