માહિમ સ્ટેશનની બહાર મોબાઇલના વિવાદમાં મુસાફર પર ચપ્પુથી હુમલો થયો

29 June, 2026 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે કહ્યું કે મને ચાકુ મરાયું છે એનું ભાન થતાં એક મિનિટ લાગી. પોલીસે હુમલાખોરની અટક કરી પણ ઓળખ હજી જાહેર નથી કરાઈ

સાયન હૉસ્પિટલમાં સારવાર લેતો નવીન પ્રસન્ના.

ગુરુવારે રાતે માહિમ સ્ટેશન પાસે ભૂલથી બીજા શખસ સાથે અથડાઈ જતાં તેનો મોબાઇલ તૂટતાં થયેલા ઝઘડા બાદ ૩૫ વર્ષના નવીન સુભાષ પ્રસન્નાને ચાકુના ઘા મારનારા શખસની પોલીસે ધરપકડ કરી છે. જોકે હજી સુધી તેની ઓળખ કે અન્ય વિગતો પોલીસે જાહેર કરી નથી. નવીનને ચાકુ મરાયું એનું ભાન થતાં જ એક મિનિટ લાગી, એમ નવીને ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. હાલ નવીન પ્રસન્ના સાયન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નવીને કહ્યું હતું કે ‘હું એ વ્યક્તિ સાથે અથડાયો ત્યારે મેં તરત જ તેની માફી માગી હતી અને તેનો ફોન પડી ગયો એની તો મને જાણ પણ નહોતી. અમે લોકો ન્યુ ઇન્ડિયા રેસ્ટોરાં પાસે હતા ત્યારે ઘણા લોકો આસપાસ હતા. તે અચાનક જ મારી પાસે આવ્યો અને મને ચાકુ મારીને સ્ટેશન તરફ ભાગી ગયો. મને કે આસપાસના લોકોને ખબર જ ન પડી કે થયું શું. ચાકુ મરાયું છે, એનું ભાન થતાં મને એક મિનિટ લાગી.’ 

હવે રેલવે-સ્ટેશન પર બૅગેજ સ્કૅનરની સંખ્યા વધારવામાં આવશે

મંગળવારે રાત્રે ૨૧ વર્ષના મયંક લોહારની ચાકુ મારીને હત્યા અને હવે માહિમ સ્ટેશન નજીક ચાકુ મારવાની ઘટના સામે આવી છે ત્યારે હવે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) પ્રવાસીઓની બૅગ ચેક કરવાની પ્રક્રિયા વધુ કડકપણે હાથ ધરાશે, એવી માહિતી એક સિનિયર GRP અધિકારીએ આપી હતી. આ સિવાય મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ  જેવા મોટાં રેલવે સ્ટેશનો પર વધારાનાં બૅગેજ સ્કૅનર મૂકવાનો પ્રસ્તાવ પણ રેલવે પ્રશાસનને મોકલાવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

- મધલિકા રામ કવત્તુર

mumbai news mumbai mahim mumbai crime news Crime News mumbai police