13 June, 2025 07:01 AM IST | Mumbai | Mehul Jethva
શ્રાવકનાં કપડાંમાં ઘાટકોપરના ઘર-દેરાસરમાંથી ચોરી કરી જનારો આરોપી અને ઘર-દેરાસરોની ચોરીના અનેક કેસમાં સામેલ નરેશ જૈન.
શ્રાવકનાં પરંપરાગત પૂજાનાં કપડાં પહેરીને એક ગઠિયો ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનમાં આવેલા પ્રેમ આશિષ બિલ્ડિંગમાં ૩૦૨ નંબરના ફ્લૅટના ઘર-દેરાસરમાંથી ૨૫,૦૦૦ રૂપિયાની ચાંદીની થાળી ઉપરાંત બે હજાર રૂપિયાનાં ચાંદીનાં ફૂલ તફડાવી ગયો હોવાની ફરિયાદ નેહલ શાહે શનિવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. આ કેસમાં પ્રાથમિક તપાસ કરતાં ઘટનાસ્થળ પરથી મળી આવેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પરથી આ ચોરીમાં ૪૬ વર્ષના નરેશ જૈનની સંડોવણી હોવાની શક્યતા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રીઢા ચોર નરેશ સામે આ પહેલાં મુંબઈ, પુણેના વિવિધ વિસ્તારોમાં ઘર-દેરાસરો અને જૈન મંદિરોમાં ચોરી કરી હોવાના કેસ નોંધાયા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
ઘાટકોપરમાં ચોરીની ઘટના શું હતી?
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરની નવરોજી લેનમાં આવેલા પ્રેમ આશિષ બિલ્ડિંગમાં ૩૦૨ નંબરના ફ્લૅટમાં રહેતાં નેહલ શાહના ઘર-દેરાસરમાં દર્શન કરવા અવારનવાર નજીકના લોકો તેમ જ સોસાયટીના લોકો આવતા હોય છે. નેહલબહેને શનિવારે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરી હતી એ સમયે ઘર-દેરાસરમાં ચાંદીની થાળી અને ચાંદીનાં ફૂલો તેમણે વ્યવસ્થિત ગોઠવીને રાખ્યાં હતાં. દરમ્યાન સાડાબાર વાગ્યાની આસપાસ તેઓ જ્યારે મંદિર નજીક ગયા ત્યારે તમામ સામાન અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો હતો. એ સમયે વધુ તપાસ કરતાં મંદિરમાં રાખેલી ચાંદીની થાળી અને ચાંદીનાં ફૂલો મળ્યાં નહોતાં. પરિણામે ચોરી થયા હોવાની ખાતરી થતાં તેમણે ૨૭,૦૦૦ રૂપિયાની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી.’
કેમ આ ચોરી પાછળ નરેશ જૈન હોવાની શંકા?
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર ઘરના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં ચોરી કરવા આવેલો ચોર શ્રાવકનાં પરંપરાગત પૂજાનાં કપડાં પહેરીને આવ્યો હતો જેની હાઇટ-બૉડી નરેશ જૈનથી મૅચ થાય છે. ઉપરાંત તેનું મોઢું સ્કૅન કરતાં તે નરેશ જૈનથી મૅચ થતું હોવાની માહિતી અમને મળી છે એટલું જ નહીં, તેની છેલ્લી ધરપકડ પુણેના સ્વારગેટ પોલીસે કરી હતી એ કેસમાંથી તેના જામીન મંજૂર થયા છે અને હાલમાં તેનો કોઈ પત્તો નથી. આ પહેલાં પણ તેણે ઘાટકોપર વિસ્તારમાંથી આવી જ રીતે ચોરીને અંજામ આપ્યો છે એટલે આ ચોરીમાં તેનો સહભાગ હોવાની ૯૯ ટકા શક્યતા છે.’
કોણ છે નરેશ જૈન અને કેમ તે ચોરીના રસ્તે ચડ્યો?
ગિરગામમાં રહેતો નરેશ જૈન વર્ષો પહેલાં રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતો હતો. ત્યાર બાદ તે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વેચતો હતો. એ દરમ્યાન ૨૦૨૦ બાદ તેને નાણાકીય કટોકટી આવી જતાં તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. નરેશ સામે ઘાટકોપર, ડોમ્બિવલી, બોરીવલી, કાલાચૌકી, એલ. ટી. માર્ગ, સાયન, આગ્રીપાડા, આઝાદ મેદાન, મલબાર હિલ, ડી. એન. નગર પોલીસ-સ્ટેશન સહિત મુંબઈની બહારના વિસ્તારોમાં આવાં જૈન મંદિરોમાંથી ચોરીના કેસોની ફરિયાદ નોંધાવવામાં આવી છે.