ઓવરહેડ ઇક્વિપમેન્ટના થાંભલા પર માથાભારે વ્યક્તિ ચડી ગઈ અને સંખ્યાબંધ ટ્રેનો અટવાઈ ગઈ

23 March, 2026 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠાકુર્લી અને આમ્બિવલી વચ્ચેની ડાઉન લાઇન પર વીજપુરવઠો બંધ કરવો પડ્યો

કલ્યાણ સ્ટેશનના ઓવરહેડ ઇક્વિપમેન્ટના થાંભલા પર ચડી ગયેલો માથાફરેલ પુરુષ.

કલ્યાણ રેલવે-સ્ટેશન પર એક વ્યક્તિ ઓવરહેડ ઇક્વિપમેન્ટના થાંભલા પર ચડી ગઈ હતી જેને કારણે વીજપુરવઠો બંધ કરવો પડ્યો હતો અને ડાઉન લાઇનની ટ્રેનોનો વ્યવહાર ખોરવાયો હતો. 
બપોરે બે વાગ્યે પ્લૅટફૉર્મ ૧, ૧-એ અને બે પર ઇલેક્ટ્રિસિટી પહોંચાડતા ઓવરહેડ ઇક્વિપમેન્ટના થાંભલા પર એક વ્યક્તિ ચડી ગઈ હતી. ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં દેખાય છે કે વ્યક્તિ ઉપર ચડીને થાંભલાની ટોચ પર બેસી ગઈ હતી. ૩૫ વર્ષનો આ પુરુષ માનસિક રીતે અસ્વસ્થ હોવાની શંકા અધિકારીઓએ વ્યક્ત કરી હતી. અધિકારીઓ અને મુસાફરોએ વારંવાર વિનંતી કરવા છતાં તે નીચે ઊતરતો નહોતો. થાંભલા પરથી ખસીને તે સ્ટેશનના રૂફ તરફ જવાનો પ્રયત્ન કરતાં લપસીને ટ્રૅક પર પડી ગયો હતો. એને લીધે તેને ગંભીર ઈજા થઈ હતી. કલ્યાણ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરી કાંડેએ જણાવ્યું હતું કે ‘તેને તાત્કાલિક સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યાં તેની સારવાર ચાલી રહી છે.’

સુરક્ષાના પગલા તરીકે ઠાકુર્લી અને આીમબિવલી વચ્ચેની ડાઉન લાઇન પર વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેને કારણે બહારગામની બે ટ્રેનો અને ૩ લોકલ ટ્રેનો ઠપ થઈ ગઈ હતી. એ ઉપરાંત રવિવારે ખડવલી રેલવે-સ્ટેશન પર ક્રેનનો ઝિપ વાયર ઓવરહેડ વાયર સાથે ફસાઈ ગયા બાદ સવારે બહારગામની ટ્રેન-સર્વિસ ખોરવાઈ ગઈ હતી. પ્લૅટફૉર્મ લાંબા કરવાના કામ માટે ઉપયોગમાં લેવાઈ રહેલી ક્રેનનો વાયર તૂટી જવાથી બ્લૉક રાખીને હાથ ધરેલા કામમાં પણ મોડું થયું હતું એને પગલે કલ્યાણ અને કસારા વચ્ચે ટ્રેનોની અવરજવર સવારે ૪ વાગ્યે શરૂ થવાને બદલે ૬ વાગ્યા પછી શરૂ થઈ હતી. 

mumbai news mumbai kalyan central railway indian railways