30 August, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રુતિ પાઠક
ભિવંડીના ફેનેગાવ વિસ્તારમાં ૨૦ વર્ષની શ્રુતિ પાઠકે કરેલી આત્મહત્યાના કેસમાં ભિવંડી શહેર પોલીસે તેના પતિ મોહમ્મદ આહત ઉર્ફે આકિબ અન્સારીની ધરપકડ કરી છે. શ્રુતિએ ૨૩ ઑગસ્ટે મોહમ્મદના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. શ્રુતિ પાંચ મહિનાની સગર્ભા હતી અને તેને અઢી વર્ષની બાળકી પણ છે. શ્રુતિને ૧૬ વર્ષની ઉંમરે જબરદસ્તી લગ્ન કરવા મજબૂર કરીને મોહમ્મદ તેને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરતો હતો એટલું જ નહીં, તેની આ વિષય માટે સતત મારઝૂડ પણ કરતો હોવાનો આરોપ શ્રુતિની માતાએ કર્યો છે.
શ્રુતિની માતા રીના પાઠકે પોતાનું દર્દ વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી દીકરી માત્ર ૧૬ વર્ષની હતી ત્યારે આકિબે તેને બહેલાવી-ફોસલાવીને લગ્ન કરી લીધાં હતાં. અમે આ લગ્નનો બહુ વિરોધ કર્યો હતો, પરંતુ આકિબના પરિવારે અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને કારણે અમે લાચાર બની ગયાં હતાં. લગ્ન પછી તે મારી દીકરી પર અત્યાચાર ગુજારતો હતો. પ્રથમ પ્રેગ્નન્સી વખતે પણ તે શ્રુતિને ભયાનક માર મારતો હતો. એક વાર તો તેણે પોતાનો ધર્મ સ્વીકારવા માટે જબરદસ્તી કરીને મારી દીકરીનું માથું ફોડી નાખ્યું હતું. દીકરી પર થતા અત્યાચાર જોઈને અમે તેને અમારા ઘરે પાછી લઈ આવ્યા હતા. શ્રુતિ તેની અઢી વર્ષની દીકરી સાથે અમારી સાથે જ રહેતી હતી, પરંતુ ફેબ્રુઆરીમાં આકિબ ફરી અમારા ઘરે આવ્યો હતો અને શ્રુતિને ફરી પોતાની સાથે લલચાવી-ફોસલાવીને લઈ ગયો હતો. આકિબના ઘરે પહોંચ્યા બાદ તેણે ફરી શ્રુતિ પર ધર્મપરિવર્તન કરવા દબાણ કરીને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. શ્રુતિ પાંચ મહિનાની ગર્ભવતી હોવા છતાં તેનો પતિ તેના પર જરાય દયા બતાવતો નહોતો. સતત થતા ત્રાસથી કંટાળીને અંતે તેણે જીવન ટૂંકાવી લીધું હતું. મારી સરકાર અને પોલીસને વિનંતી છે કે અમને ન્યાય અપાવે.’
આ મામલે ભિવંડી શહેર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રુતિની માતાની ફરિયાદના આધારે ફરિયાદ નોંધીને આરોપી પતિ મોહમ્મદ આહત ઉર્ફે આકિબ અન્સારીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ દ્વારા કરવામાં આવતી સતત મારઝૂડ અને ત્રાસથી કંટાળીને સગર્ભા મહિલાએ આ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં આ કેસમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.’