18 September, 2025 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આખા રાજ્ય વતી વડા પ્રધાનને શુભેચ્છા પાઠવી હતી. દેવેન્દ્ર ફડણવીસે નરેન્દ્ર મોદીને આત્મનિર્ભર ભારતના પ્રણેતા ગણાવ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘દીર્ઘદ્રષ્ટા, અમારા નેતા અને પ્રણેતા નરેન્દ્ર મોદીજીને મહારાષ્ટ્રના લોકો તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા.’
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીએ હંમેશાં રાષ્ટ્રનિર્માણને બીજી કોઈ પણ બાબતની તુલનામાં પ્રાથમિકતા આપી છે. તેમણે વિકાસના માર્ગનું નવનિર્માણ કર્યું છે અને ગ્લોબલ વિઝન સાથે ભારતનું સુકાન સંભાળ્યું છે.
એકનાથ શિંદેએ નરેન્દ્ર મોદીને ૭૫ વર્ષના યુવાન ગણાવ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વડા પ્રધાનના જન્મદિવસે શુભેછા આપતાં કહ્યું હતું કે ‘મોદીજીની વિકાસયાત્રામાં અમે સહપ્રવાસી છીએ. ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના મહાયજ્ઞમાં અમે પણ ફાળો આપી શકીએ એ આશાએ અમે તેમની સાથે કદમથી કદમ મિલાવીને ચાલીએ છીએ. મહારાષ્ટ્ર પણ આમાં ક્યાંય પાછળ નહીં રહે.’
એકનાથ શિંદેએ કહ્યું હતું કે વડા પ્રધાન ૭૫ વર્ષના યુવાન હોય એવા જ ઉત્સાહ, તરવરાટ અને જુસ્સા સાથે કામ કરે છે.
થાણે રાસ રંગ 2025ની તૈયારીઓ જોવા પહોંચ્યા એકનાથ શિંદે
CREDAI-MCHI થાણે અને ધર્મવીર આનંદ દીઘે પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત થાણે રાસ રંગ 2025ની તૈયારીઓનું ગઈ કાલે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નિરીક્ષણ કર્યું હતું. થાણે રાસ રંગના ચૅરમેન જિતેન્દ્ર મહેતાએ એકનાથ શિંદેને આ ભવ્ય આયોજન વિશે માહિતગાર કર્યા હતા. થાણેની સાંસ્કૃતિક ઓળખ બની ગયેલો આ નવરાત્રિ ઉત્સવ આ વખતે રેમન્ડ ગ્રાઉન્ડમાં યોજાવાનો છે.