મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર 33 કલાકનો જૅમ: ઉદ્યોગપતિ ડૉ. સુધીર મહેતા `એરલિફ્ટ` નહોતા કરાયા પણ...

05 February, 2026 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ-પૂણે એક્સપ્રેસવેનો ટ્રાફિક 33 કલાકે મોકળો થયો હતો, આ દરમિયાન આઠ કલાક ફસાયા બાદ હેલિકૉપ્ટર રાઈડ લઇને ઘરે પહોંચેલા ઉદ્યોગપતિની વાયરલ થયા પણ માહિતીમાં હતી એક ભૂલ, જાણો ખરેખર શું હતી વાત.

ડૉ. સુધીર મહેતાએ શૅર કરેલી સેલ્ફી - સૌજન્ય સોશ્યલ મીડિયા

મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ પાસે એક ગેસ ટેન્કર પલટી જવાની ઘટનાએ હજારો મુસાફરોની હાલત કફોડી કરી દીધી હતી. આ ગંભીર અકસ્માત બાદ સર્જાયેલા પ્રચંડ ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે, પૂણેના જાણીતા ઉદ્યોગપતિ ડૉ. સુધીર મહેતાએ સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર રાઈડ દરમિયાનની તસવીરો શેર કરી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

8 કલાક સુધી કયા સ્પૉટ પર અટવાયા હતા? 


પિનાકલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન સુધીર મહેતાએ `X` પર એક્સપ્રેસવેના હવાઈ દ્રશ્યો શેર કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓ મુંબઈમાં 8 કલાક સુધી અટવાઈ પડ્યા હતા અને ત્યારબાદ મુંબઈના જુહુ વિસ્તારથી હેલિકોપ્ટર દ્વારા પૂણે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે તેમને એક્સપ્રેસવે પરથી `એરલિફ્ટ` કરવામાં આવ્યા છે, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેઓ એક્સપ્રેસવે પર નહીં પણ મુંબઈમાં ટ્રાફિકને કારણે ફસાયા હતા. આ બાબતની ચોખવટ ફ્રી-પ્રેસ જરનલના એક ન્યૂઝ રિપોર્ટમાં કરવામાં આવી હતી જે તેમના પૂણેના કોરસ્પોન્ડન્ટે સોશ્યલ મીડિયા પર પણ મૂકી હતી. જુઓ તેમણે X પર શું ટ્વીટ કર્યુંઃ

 

વહીવટી તંત્રને મહત્વના સૂચનો


સુધીર મહેતાએ આ ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સરકારને સૂચનો આપ્યા હતા:

ઇમરજન્સી એક્ઝિટ: એક્સપ્રેસવે પર અલગ-અલગ પોઈન્ટ્સ પર એક્ઝિટ હોવા જોઈએ, જેથી અકસ્માત સમયે વાહનો યુ-ટર્ન લઈ શકે.

હેલિપેડની સુવિધા: તેમણે જણાવ્યું કે હેલિપેડ બનાવવા માટે માત્ર 10 લાખથી ઓછો ખર્ચ થાય છે. ઇમરજન્સીમાં દર્દીઓ કે મુસાફરોને બહાર કાઢવા માટે એક્સપ્રેસવે નજીક હેલિપેડ અનિવાર્ય હોવા જોઈએ.

33 કલાક બાદ ટ્રાફિક પૂર્વવત થયો


મંગળવારે સાંજે 5 વાગ્યે અડોશી ટનલ પાસે પ્રોપિલિન ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. ગેસ અત્યંત જ્વલનશીલ હોવાથી સુરક્ષાના કારણોસર ટ્રાફિક રોકી દેવાયો હતો. હજારો લોકો ખોરાક, પાણી અને શૌચાલયની સુવિધા વગર કલાકો સુધી રસ્તા પર અટવાયા હતા. છેવટે ગુરુવારે મળસ્કે 1:46 વાગ્યે, એટલે કે લગભગ 33 કલાક પછી ટેન્કર હટાવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.

કોણ છે સુધીર મહેતા?


સુધીર મહેતા પૂણે સ્થિત પિનાકલ ઇન્ડસ્ટ્રીઝ (Pinnacle Industries) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ ઉપરાંત તેઓ ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની EKA Mobility ના સ્થાપક પણ છે. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે અને બિઝનેસ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને અનેક એવોર્ડ્સ તેમજ માનદ ડૉક્ટરેટ (D.Litt.) ની પદવી પણ મળી છે. તેઓ માત્ર ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ જાણીતા કોલમિસ્ટ અને પોલિસી એનાલિસ્ટ પણ છે.

mumbai pune expressway mumbai news maharashtra mumbai traffic juhu pune news