બાળકોને પુષ્ટિમાર્ગ સાથે જોડવા સંપ્રદાયનું સાહિત્ય હવે ઇંગ્લિશમાં

08 August, 2022 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુષ્ટિ સંપ્રદાયની વૈષ્ણવ પરિષદે હવે કૃષ્ણલીલા સાથે કૃષ્ણભક્તિને વણી લેતી વાર્તાઓ ત્રણ વર્ષથી લઈને ૧૩ વર્ષનાં બાળકો સમજી શકે એવાં ૧૩૨ પુસ્તકો અંગ્રેજીમાં તૈયાર કરાવડાવ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

બાળકોમાં જો નાનપણથી સંસ્કારનું સિંચન કરવામાં આવે તો એની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે. એથી પુષ્ટિ સંપ્રદાયની વૈષ્ણવ પરિષદે હવે કૃષ્ણલીલા સાથે કૃષ્ણભક્તિને વણી લેતી વાર્તાઓ ત્રણ વર્ષથી લઈને ૧૩ વર્ષનાં બાળકો સમજી શકે એવાં ૧૩૨ પુસ્તકો અંગ્રેજીમાં તૈયાર કરાવડાવ્યાં છે. એટલું જ નહીં, બાળકો સાપસીડી, નવો વેપાર જેવી જે ગેમ રમતાં હોય છે એ ગેમ્સ અને પઝલ્સ પણ તૈયાર કરાવ્યાં છે. એનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે એમ મહારાષ્ટ્રના વૈષ્ણવ પરિષદના પૂર્વાધ્યક્ષ કેતન મહેતાએ જણાવ્યું હતું.

આ પુસ્તકો તૈયાર કરાવનાર પુષ્ટિ સંપ્રદાયના સુરત કામવનના અનિરુદ્ધલાલજી મહારાજે કહ્યું હતું કે ‘હવેનાં બાળકો વર્નાક્યુલર મીડિયમ છોડીને અંગ્રેજીમાં ભણતાં થયાં છે. આપણાં જે ધાર્મિક પુસ્તકો હતાં એ પહેલાં તો સંસ્કૃતમાં હતાં જેમને આપણા પૂર્વજોએ લોકો સારી રીતે સમજી શકે એ માટે ગુજરાતી અને ભારતની અન્ય ભાષાઓમાં અનુવાદિત કર્યાં હતાં. આ વર્નાક્યુલર ભાષાઓમાં એ લગભગ ૧૫૦ વર્ષ સુધી વંચાતાં રહ્યાં છે. જોકે હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે બાળકો અંગ્રેજીમાં ભણે છે અને એટલે તેમની થૉટ પ્રોસેસ પણ અંગ્રેજીમાં કરે છે. એથી તેમને આપણા ધર્મની અને સંપ્રદાયની વાતો, કૃષ્ણ ભગવાનની વાતો સમજાતી લૅન્ગ્વેજમાં કરાય તો એને એ લોકો સારી રીતે ગ્રહણ કરી શકે એ માટે આ અભિયાન હાથ ધર્યું છે. એમાં નાના બાળકને જે રીતે અક્ષરજ્ઞાન અપાય છે એ રીતે શરૂઆત કરાઈ છે. એ પછી જોડકણાં, વાર્તાઓ અને અન્ય રીતે જેમ-જેમ બાળકોની ઉંમર વધતી જાય એમ-એમ એમાં વધારો થતો જાય છે. ૧૩ વર્ષની ઉંમર સુધીનાં બાળકો એ વાંચે એ પ્રમાણે એની રજૂઆત રાખવામાં આવી છે. આનાથી તેઓ ધાર્મિક બાબતો પણ સમજશે અને એ તરફ તેમનો રસ પણ વધશે.’

mumbai mumbai news