16 June, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની ભરમાર છે અને અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં જૂનાં બિલ્ડિંગોને તોડીને નવાં બિલ્ડિંગો બની રહ્યાં છે ત્યારે આ બાબતે તાજેતરમાં જ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ૨૦૩૧ સુધીમાં આશરે ૫૯,૦૦૦ નવાં ઘરો રીડેવલપમેન્ટના માધ્યમતી તૈયાર થશે એમ જણાયું હતું. નવાં તૈયાર થનારાં ઘરોની કિંમત આશરે ૧.૫ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જેમાંથી ૯૧૧૫ કરોડ રૂપિયા રેવન્યુ સ્ટૅમ્પ-ડ્યુટી તરીકે રાજ્ય સરકારને મળશે.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ નાઇટ ફ્રૅન્ક ઇન્ડિયાના રિપોર્ટ મુજબ વેસ્ટ એશિયા તથા આખા વિશ્વમાં યુદ્ધ અને અન્ય અનિશ્ચિતતાઓ હોવા છતાં મુંબઈમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું માર્કેટ વિકસશે. એમાં પણ ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એટલે કે એકસાથે જ ઘણીબધી સોસાયટીઓનું રીડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે. અત્યારે રીડેવલપમેન્ટ હેઠળ રહેલા ૧૦૯૪ પ્રોજેક્ટ્સ સબર્બ્સમાં ચાલી રહ્યા છે, જેમાંથી સૌથી વધુ ૨૨૦ પ્રોજેક્ટ બોરીવલીમાં છે એમ અભ્યાસમાં જણાયું હતું. વેસ્ટર્ન સબર્બ્સમાં ૭૭૩ સોસાયટીઓનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે તેમ જ સેન્ટ્રલ સબર્બમાં ૨૬૧ સોસાયટીઓનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. કુલ રીડેવલપમેન્ટના કામનું ૯૫ ટકા કામ સબર્બ વિસ્તારોમાં ચાલી રહ્યું છે.
અભ્યાસના તારણ મુજબ હવે મોટા ભાગે ક્લસ્ટર રીડેવલપમેન્ટ કરવામાં આવશે જેમાં એકસાથે નવી સોસાયટીઓ બનાવવા ઉપરાંત અન્ય બિઝનેસ, ઍમિનિટીઝ, કમર્શિયલ ઍક્ટિવિટીનો સમન્વય હોય અને બધું સરળ રીતે લોકો માટે ઉપલબ્ધ રહે.
મુંબઈમાં ૧.૬ લાખ બિલ્ડિંગ ૩૦ વર્ષથી જૂનાં
મુંબઈમાં વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને અભ્યાસના તારણ મુજબ ૧.૬ લાખ બિલ્ડિંગ ૩૦ વર્ષથી જૂનાં હોવાનું અને એ લોકોને રહેવાલાયક છે કે નહીં એ માટે સ્ટ્રક્ચરલ ઑડિટ હેઠળ છે. એટલે આ બધાં જ બિલ્ડિંગોનું પણ રીડેવલપમેન્ટ જરૂરી છે.