જીવતા ન હોય એવા લોકોના નામની રિક્ષાની પરમિટ પણ રિન્યુ થઈ ગઈ

08 May, 2026 07:55 AM IST  |  Mumbai | Samiullah Khan

બોરીવલી RTOમાં જોવા મળેલી આ ગોલમાલે અનેક સવાલ ઊભા કર્યા, તપાસ શરૂ

પ્રતીકાત્મક તસવીર

મૃત માલિકોના નામે ઑટોરિક્ષા પરમિટ અને વાહનોનાં ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવામાં આવ્યાં હોવાના આરોપ થયા બાદ બોરીવલી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) તપાસના ઘેરામાં આવી છે જેનાથી સિસ્ટમ અંતર્ગત ભૂલો અને એજન્ટો તથા અધિકારીઓ વચ્ચેની સાઠગાંઠ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

RTOના એજન્ટ ભૂપેશ મિશ્રા દ્વારા આ આરોપ કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વાહન સંબંધિત ઘણી પ્રક્રિયા નોંધાયેલા માલિકોની હાજરી, સંમતિ અથવા તો તેમની જાણકારી વિના પૂર્ણ કરવામાં આવી હતી જેમાંથી કેટલાક અગાઉથી જ મૃત્યુ પામ્યા હતા.

બોરીવલી RTOમાં રજૂ કરાયેલી ફરિયાદ બાદ સંડોવાયેલાં વાહનોમાંથી એક જપ્ત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને માલિક મૃત્યુ પામ્યો હોવા છતાં પરમિટ અને વાહન-પાસિંગની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી એ વિશે તપાસ શરૂ કરવામાં આવી છે.

આક્ષેપ શું કહે છે?

ભૂપેશ મિશ્રાએ જણાવ્યું હતું ‘આ મુદ્દો સૌપ્રથમ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે તે રજિસ્ટ્રેશન-નંબર MH47AW0307 ધરાવતી ઑટોરિક્ષાનું વેચાણ હૅન્ડલ કરી રહ્યો હતો. આ વાહન જિતેન્દ્ર સાવનું હતું જે લોનની ચુકવણીમાં ડિફૉલ્ટ થયા પછી કલકત્તા શિફ્ટ થઈ ગયો હતો. બૅન્કે પછીથી વાહનનો કબજો લીધો અને એને વેચી દીધું હતું. ભૂપેશ મિશ્રાએ દાવો કર્યો હતો કે મેં નવા ખરીદનારને જાણ કરી હતી કે ભવિષ્યમાં પરમિટ રિન્યુઅલની ઔપચારિકતાઓ માટે મૂળ માલિકે મુંબઈમાં હાજર રહેવાની જરૂર પડશે. જોકે પછીથી મને જાણવા મળ્યું હતું કે પરમિટ રિન્યુ થઈ ગઈ છે. એ પછી તેણે તરત જ જિતેન્દ્ર સાવને ફોન કર્યો અને પૂછ્યું કે શું તું રિન્યુઅલ પ્રક્રિયા માટે મુંબઈ આવ્યો હતો? એના જવાબમાં તેણે કહ્યું હતું કે હું મુંબઈ આવ્યો જ નથી. તેણે વધુમાં દાવો કર્યો હતો કે RTOમાં કાર્યરત એજન્ટોએ માલિકની સંમતિ અથવા હાજરી વિના ૧૫,૦૦૦ રૂપિયામાં પરમિટ રિન્યુ કરાવી લીધી હતી.

ભૂપેશ મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે ફરિયાદ નોંધાવ્યા પછી મારો સામનો RTO પરિસરમાં કેટલાક એજન્ટો સાથે થયો હતો. મેં દલીલ કરતાં તેમણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મને ધક્કો માર્યો હતો. પૂછપરછ દરમ્યાન મને બે વધુ કેસ મળ્યા હતા જેમાં નોંધાયેલા માલિકો પહેલાંથી જ મૃત્યુ પામ્યા હતા. એક કેસમાં પરમિટ રિન્યુ કરવામાં આવી હતી, જ્યારે બીજા કેસમાં વાહન ફિટનેસ પાસિંગ પૂર્ણ થયું હતું.’

ભૂતપૂર્વ કૉર્પોરેટર ઑડિટ માગે છે

ભૂતપૂર્વ કૉર્પોરેટર શીતલ મ્હાત્રેએ RTO કમિશનરને ફરિયાદ રજૂ કરીને ગેરરીતિઓમાં સંડોવાયેલા અધિકારીઓ અને વચેટિયાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. આને વ્યવસ્થિત નિષ્ફળતા ગણાવતાં શીતલ મ્હાત્રેએ પ્રશ્ન કર્યો હતો કે મૃત વ્યક્તિઓના નામે સબમિટ કરાયેલી પરમિટ રિન્યુઅલ અરજીઓ ચકાસણી વિના કેવી રીતે પ્રક્રિયા કરી શકાય?

mumbai news mumbai regional transport office borivali Crime News mumbai crime news