29 April, 2025 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોલ્હાપુરની છત્રપતિ શિવાજી માર્કેટ પાસે સકલ હિન્દુ સમાજનું ચર્ચાસ્પદ બનેલું બૅનર.
હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે સત્તરમી સદીમાં વિજાપુરની આદિલશાહી સલ્તનતના સેનાપતિ અફઝલ ખાનનો વધ કરીને જબરદસ્ત પરાક્રમ કર્યું હતું. શિવાજી મહારાજના આ સાહસથી આદિલશાહી સલ્તનત જ નહીં, મુગલો પણ થરથરી ગયા હતા. શિવાજી મહારાજ બાદ તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજે પણ મુગલો સામે નવ વર્ષ લડાઈ કરી હતી. મુગલ બાદશાહ ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને કેદ કરીને મુસ્લિમ ધર્મ સ્વીકારવાનું કહ્યું હતું, પણ તેમણે ધર્મ નહોતો બદલ્યો અને શહીદી વહોરી લીધી હતી. પહલગામમાં ટૂરિસ્ટોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે એટલે ૩૩૬ વર્ષમાં કંઈ જ ન બદલાયું હોવાનો મેસેજ કોલ્હાપુરના સકલ હિન્દુ સમાજે એક બૅનર થકી આપ્યો છે.
સકલ હિન્દુ સમાજે કોલ્હાપુરની છત્રપતિ શિવાજી માર્કેટ પાસે બૅનર લગાવ્યું છે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ અફઝલ ખાનનો વધ કરી રહ્યા છે એના ફોટો સાથે આતંકવાદને આવી રીતે જ ખતમ કરવો પડે એવું મોટા અક્ષરે લખ્યું છે. આ બૅનરમાં લખ્યું છે કે છત્રપતિ સંભાજી મહારાજ હિન્દુ હતા એટલે ઔરંગઝેબે તેમની ક્રૂરતાથી હત્યા કરી હતી, એવી જ રીતે પહલગામમાં પણ નિર્દોષ હિન્દુ ટૂરિસ્ટોની હત્યા કરવામાં આવી છે; આટલાં વર્ષોમાં કંઈ જ બદલાયું નથી એટલે ભારતવિરોધી લોકોનો ૧૦૦ ટકા આર્થિક બહિષ્કાર કરવો જરૂરી છે.
કોલ્હાપુરમાં આ બૅનર ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે.