27 October, 2021 08:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર વાનખેડ પત્ની ક્રાંતિ રેડકર સાથે. ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીના આરોપોનો જવાબ આપતા, NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું કે તેમના ‘નિકાહ’ થયા હતા અને લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા હતા.
ANI સાથે વાત કરતા રેડકરે કહ્યું “નિકાહનામા સાચા છે. નિકાહ થયા છે, પરંતુ સમીરે કાયદેસર રીતે તેનો ધર્મ, જાતિ બદલી નથી. તે માત્ર એક ઔપચારિકતા હતી કારણ કે મારી સાસુ મુસ્લિમ હતી અને તેમની ખુશી માટે નિકાહ થયા હતા. જન્મ પ્રમાણપત્ર નવાબ મલિક દ્વારા શેર કરવામાં આવ્યું છે તે ખોટું છે.”
નવાબ મલિકને ઘેરતા તેણીએ કહ્યું કે “અમારા અંગત ફોટા શેર કરીને નવાબ મલિક તેમણે લીધેલા બંધારણીય શપથની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું, એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમનો એકમાત્ર હેતુ સમીર વાનખેડેને તેમના પદ પરથી હટાવવાનો છે જેથી તેમના જમાઈને બચાવી શકાય.”
ઉલ્લેખનીય છે કે અગાઉ મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને NCP નેતા નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના ‘નિકાહ’ની કથિત તસવીરો પોસ્ટ કરી હતી.
NCP નેતાએ તેમની પ્રથમ પત્ની ડૉ. શબાના કુરૈશી સાથે વાનખેડેના ‘નિકાહ નામા’નો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો હતો.