શરદ પવારે સંસદીય કારકિર્દીના ૬૦મા વર્ષમાં પ્રવેશ કર્યો

23 February, 2026 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરિષ્ઠ નેતા શરદ પવારે ગઈ કાલે તેમની સંસદીય કારકિર્દીના ૬૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો

શરદ પવાર

વરિષ્ઠ નેતા શરદ પવારે ગઈ કાલે તેમની સંસદીય કારકિર્દીના ૬૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. શરદ પવારે માત્ર રાજ્યના જ નહીં,  દેશના રાજકારણમાં પણ મોટી ભૂમિકા ભજવી છે. તેમણે મુખ્ય પ્રધાન, સંરક્ષણપ્રધાન અને કૃષિપ્રધાન તરીકે ઘણી જવાબદારીઓ નિભાવી છે. શરદ પવાર ઘણા લોકોના રાજકીય માર્ગદર્શક છે. 

સંસદસભ્ય સુપ્રિયા સુળેએ તેમના પિતાની સંસદીય કારકિર્દીની ડાયમન્ડ જ્યુબિલી વિશે સોશ્યલ મીડિયા પર લખ્યું છે, ‘આદરણીય પવારસાહેબની સંસદીય કારકિર્દી આજે ૬૦મા વર્ષમાં પ્રવેશી રહી છે. આ છ દાયકા દરમ્યાન તેમણે ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ જોઈ છે. તેમણે છ વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે અને એક વખત વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા હતા. તેઓ ૭ વખત લોકસભામાં ચૂંટાયા હતા અને બે વાર રાજ્યસભામાં એનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૬૭માં આજના દિવસે શરૂ થયેલી આ અજેય યાત્રા આજે પણ અવિરત ચાલુ છે. આ યાત્રા દરમ્યાન તેમના જીવનભરના સાથીઓ, કાર્યકરો અને સૌથી અગત્યનું તેમનાં માતા-પિતા, લોકો તેમની સાથે મજબૂત રીતે ઊભાં રહ્યાં. લોકો તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમનામાં અપાર વિશ્વાસ રાખતા હતા. આ યાત્રા ફક્ત આ વિશ્વાસના બળ પર જ શક્ય બની છે. આ માટે હું બધાની આભારી છું. આભાર.

શરદ પવાર પાછા હૉસ્પિટલમાં- આ વખતે ડીહાઇડ્રેશનની તકલીફ થઈ

નૅશનલિસ્ટ કૉન્ગ્રસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારને રવિવારે હળવી ડીહાઇડ્રેશનની સમસ્યા બાદ પુણેના રુબી હૉલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૮૫ વર્ષના શરદ પવારની હાલત સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. હૉસ્પિટલના મુખ્ય કાર્ડિયોલૉજિસ્ટ, ચૅરમૅન અને મૅનેજિંગ ટ્રસ્ટી ડૉ. પૂર્વેજ ગ્રાન્ટે કહ્યું હતું કે ‘શરદ પવારને હળવી ડીહાઇડ્રેશનની સમસ્યા માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમને ઇન્ટરવેનસ ફ્લુઇડ (IV)ની જરૂર છે. તેમની હાલત સ્થિર છે. તેઓ બે દિવસ હૉસ્પિટલમાં રહેશે અને ત્યાર બાદ તેમને રજા આપવામાં આવે એવી શક્યતા છે.’ 
ડૉ. પૂર્વેજ ગ્રાન્ટ અને હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ફિઝિશ્યન ડૉ. અભિજિત લોઢા તેમની સારવારનું નિરીક્ષણ કરી રહ્યા છે. અગાઉ શરદ પવારને ૯ ફેબ્રુઆરીએ છાતીમાં ચેપ લાગવાને કારણે એ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૪ ફેબ્રુઆરીએ તેમને રજા આપવામાં આવી હતી.

mumbai news mumbai sharad pawar nationalist congress party maharashtra political crisis political news indian politics