13 May, 2022 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
એસી લોકલની ટિકિટનાં ભાડાંમાં પાંચમી મેથી ૫૦ ટકાનો ઘટાડો થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી સેન્ટ્રલ રેલવેએ મેઇન લાઇન (સીએસએમટી-કલ્યાણ/ટિટવાલા/અંબરનાથ) પર એસી લોકલની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. એ સાથે આવતી કાલથી હાલમાં હાર્બર લાઇન પર ચાલતી એસી લોકલ સર્વિસ બંધ થશે. આ ઉપરાંત સેન્ટ્રલ રેલવેએ રવિવાર અને અમુક હૉલિડેએ પણ એસી લોકલ સર્વિસ ચલાવવાનો નિર્ણય લીધો છે. ૧૪ મેથી ૧૬ હાર્બર લાઇન એસી સર્વિસ નૉન-એસી રેક સાથે ચાલશે અને પરિણામે એસી સર્વિસ હવે ફક્ત મેઇન લાઇન પર જ રહેશે. એ સાથે હવે વેસ્ટર્ન રેલવેમાં પણ એસી લોકલ સર્વિસને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળતાં આ લાઇનના પ્રવાસીઓને પણ એનો વધુ લાભ મળી શકે એમ છે એસી સર્વિસ માટે સીઝન ટિકિટ ધરાવતા હાર્બર લાઇનના મુસાફરો ઉપનગરીય સ્ટેશનો પર યુટીએસ બુકિંગ કાઉન્ટર પરથી બૅલૅન્સ દિવસો માટે એસી અને ફર્સ્ટ ક્લાસના ભાડાના તફાવતનું રીફન્ડ મેળવી શકે છે. તેઓ ફર્સ્ટ ક્લાસની સામાન્ય સર્વિસમાં મુસાફરી કરી શકે છે. વધતી જતી ગરમી અને ટિકિટના ભાવમાં પચાસ ટકા ઘટાડો થવાને ચાલતે વેસ્ટર્ન રેલવેની એસી લોકલને સારો પ્રતિસાદ મળવા લાગ્યો છે. જોકે વેસ્ટર્ન લાઇનમાં ઓછી ફ્રીક્વન્સીને કારણે એસી લોકલમાં પ્રવાસીઓની ભીડ થતી જોવા મળે છે અને પીક અવર્સમાં પ્રવાસીઓ એનો લાભ લઈ શકતા નથી. આ બધાને ધ્યાનમાં રાખીને રેલવે ચર્ચગેટ-વિરાર રૂટ પર ૧૦ જેટલી એસી સર્વિસ વધારે એવી શક્યતા છે. આ સર્વિસ મોટા ભાગે સવાર અને સાંજના પીક અર્વસની ભીડમાં હશે. હાલમાં વેસ્ટર્ન ૨૮ સર્વિસ ચલાવે છે. એમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ગોરેગામ હાર્બર લાઇન પર ૮ સર્વિસનો અને મુખ્ય લાઇન પર ૨૦ સર્વિસનો સમાવેશ થાય છે.
મુંબઈને બે એસી લોકલ મળશે?
મુંબઈને બે નવી એસી લોકલ મળે એવી શક્યતા પણ છે જે ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં તૈયાર થઈ રહી છે. અહીં આવ્યા બાદ એમાંથી એક સેન્ટ્રલ અને એક વેસ્ટર્નને મળે એવી શક્યતા છે.