Shiv Sena MP Ravindra Waikar : શિંદે જૂથના વિજેતા નેતા રવિન્દ્ર વાયકરના સાળા સામે કેસ દાખલ, EVMને અનલોક કરવા..

16 June, 2024 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shiv Sena MP Ravindra Waikar : શિંદે જૂથના મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા સાંસદના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ 4 જૂનના રોજ મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના આરોપમાં કેસ નોંધ્યો હતો.

રવિન્દ્ર વાયકરની ફાઇલ તસવીર

તાજેતરમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થયું. મુંબઇમાં પણ વિવિધ કેન્દ્રો પર મતદાન થયું હતું. તેમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમની બેઠક રિઝલ્ટ આવ્યા બાદ પણ ચર્ચામાં રહી. કારણકે અહીં એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકર (Shiv Sena MP Ravindra Waikar) માત્ર 48 મતોથી જીત્યા હતા. જોકે, ઠાકરે જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકરને સૌ પ્રથમ વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓને વિજેતા જાહેર કરાયા બાદ પુન:મતગણતરી કરવામાં આવી હતી. અને ત્યારબાદ રવીન્દ્ર વાયકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, આ મામલે ઠાકરે જૂથે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. 

રવિન્દ્ર વાયકરના સાળા સામે નોંધાયો કેસ 

ઠાકરે જૂથની ફરિયાદ બાદ તંત્ર સજાગ થયું અને મુંબઈ પોલીસે આ મામલે નવા જ ચૂંટાયેલા શિંદે જૂથના મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા સાંસદ રવિન્દ્ર વાયકર (Shiv Sena MP Ravindra Waikar)ના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ 4 જૂનના રોજ મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના આરોપમાં કેસ નોંધ્યો હતો.

ઈવીએમને અનલોક કરવા ઓટીપીનો થયો હતો ઉપયોગ 

પોલીસ દ્વારા આ મામલાની તપાસ બાદ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તેમાં હવે પ્રાપ્ત અહેવાલો અનુસાર પંડિલકરે મુંબઈમાં ગોરેગાંવ વિસ્તારમાં મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેટલું જ નહીં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મતગણતરી કેન્દ્ર પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અનલૉક કરવા માટે ફોનનો ઉપયોગ વન-ટાઇમ પાસવર્ડ (OTP) જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મતદાન મથકમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોનને કરાયો જપ્ત, અને.. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર મતદાન મથકમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં રવિન્દ્ર વાયકર (Shiv Sena MP Ravindra Waikar)ના સાળાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો. હવે આ મામલે ખુલાસો થતાં જ પોલીસે તે મોબાઈલ ફોનને જપ્ત કરીને એફએસએલમાં મોકલી આપ્યો છે. હવે એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે આ મોબાઈલ ફોનની ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે અને પોલીસ એ પણ તપાસ કરશે કે પાંડિલકરે તે દરમિયાન કોની કોની સાથે વાત કરી હતી. બંનેને કલમ 41(A) હેઠળ હાજર થવા સમન્સ પણ મોકલી દેવામાં આવ્યા છે.

આ મતદાર કેન્દ્રમાં ખૂબ જ નાટ્યાત્મક રીતે પરિણામ આવ્યું હતું. સંપૂર્ણ મતગણતરી પ્રક્રિયામાં કોઈપણ રાઉન્ડમાં મતગણતરી પ્રતિનિધિઓ તરફથી કોઈપણ વાંધો પ્રાપ્ત થયો ન હતો. જોકે, ટપાલના મતપત્રકોના રાઉન્ડના જાહેર કરાયેલા પરિણામમાં અમોલ કિર્તીકરને 1501, જ્યારે રવિન્દ્ર વાયકર (Shiv Sena MP Ravindra Waikar)ને 1550 મત મળ્યા હતા. અંતિમ રાઉન્ડની અંતે મતગણતરીમાં આગેવાનીમાં રહેલા ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. જેમાં ઉમેદવાર અમોલ કિર્તીકર એક મતથી આગળ હતા. નિયમ મુજબ અંતિમ રાઉન્ડ પછી ટપાલના મતપત્રકોની ગણતરીની સંખ્યા ઉમેરીને ઉમેદવાર પ્રમાણે મત જાહેર કરવામાં આવ્યા. જેમાં વાયકર 48 મતથી આગળ હોવાનું સાબિત થયું હતું અને રવિન્દ્ર વાયકરને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા.

mumbai news mumbai Lok Sabha Election 2024 eknath shinde uddhav thackeray shiv sena