28 November, 2022 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દિલ્હી પોલીસે ઝડપેલા શ્રદ્ધા વાલકર હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની આજે નાર્કો ટેસ્ટ કરાય એવી શક્યતા છે. ગયા અઠવાડિયે તેની પૉલિગ્રાફ ટેસ્ટ હાથ ધરાઈ હતી. એફએસએલ દ્વારા એ માટે પૂરતી તૈયારીઓ પણ કરાઈ છે.
દિલ્હીના રોહિણીમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં એક ખાસ રૂમ આ ટેસ્ટ માટે અલૉટ કરાયું છે. આફતાબની નાર્કો ટેસ્ટ વખતે પાંચ સભ્યોની ટીમ એ રૂમમાં હાજર રહેશે, જેમાં હૉસ્પિટલના બે ડૉક્ટરો, એક ફિઝિશ્યન અને એક ઍનેસ્થેસિયા આપનાર હશે, જેમાંથી ફિઝિશ્યન આફતાબના શારીરિક પૅરામિટર્સ પર ધ્યાન આપશે. આ સિવાય એફએસએલના બે સાઇકૉલૉજિસ્ટ અને એક ફોટોગ્રાફર પણ હાજર રહેશે. આ આખી ટેસ્ટની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવશે.
એવું કહેવાય છે કે આફતાબને પૉલિગ્રાફ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ પ્રશ્નો ફરી નાર્કો ટેસ્ટમાં પણ પૂછવામાં આવશે અને ત્યાર બાદ બન્ને ટેસ્ટનાં પરિણામો સરખાવીને તપાસ કરાશે. જો તે કોઈ સવાલના જવાબમાં જુઠ્ઠું બોલ્યો હશે તો એ પણ એમાં સ્પષ્ટ થઈ જશે.