29 June, 2026 06:20 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
સિયા ગોયલ અને કેતન અગ્રવાલ
પૂણેમાં કેતન અગ્રવાલ હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો. સિયા ગોયલના ભાઈ સાહિલે કહ્યું કે “એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવ તેમના પરિવારના વકીલ નથી. અમે ક્યારેય તેમને નિયુક્ત કર્યા નથી, કે તેમને અમારા પરિવાર વતી રાખવામાં આવ્યા નથી. મને તેમના દાવાઓ વિશે કોઈ જાણકારી નથી." સાહિલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આશુતોષ શ્રીવાસ્તવે સિયા ગોયલની સહી છેતરપિંડી કરી મેળવી હશે. તેણે ઉલ્લેખ કર્યો હતો કે પરિવારે આ બાબતે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. વધુમાં, તેણે આરોપ લગાવ્યો હતો કે શ્રીવાસ્તવે પરિવારને ધમકીઓ આપી હતી.
“પોલીસ અત્યાર સુધી સિયા વિરુદ્ધ કોઈ સીધો પુરાવો સ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ છે એમ સિયા ગોયલના વકીલ હોવાનો દાવો કરતા આશુતોષ શ્રીવાસ્તવ એ દાવો કર્યા કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે લોહગઢ કિલ્લામાં કેતન અગ્રવાલના મૃત્યુ માટે સિયા ગોયલને જવાબદાર ઠેરવવા માટે કોઈ પ્રત્યક્ષદર્શી કે સ્વતંત્ર સાક્ષી નથી.
સાહિલે પરિવારની બાલીની યાત્રા વિશે પણ વિગતો આપી. તેણે કહ્યું, "હા, યાત્રાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ પાસપોર્ટ ગુમ થઈ જવાને કારણે તેને રદ કરવું પડ્યું." આ દરમિયાન, પોલીસનો દાવો છે કે આ ગુમ થયેલ પાસપોર્ટ કથિત હત્યાના કાવતરાનો એક મહત્તવપૂર્ણ પુરાવો હોઈ શકે છે. તેઓ લગ્ન પહેલા ફોટોશૂટ માટે બાલી જવાના હતા જોકે તે પહેલા સિયા ગોયલે કેતન અગ્રવાલનો પાસપોર્ટ છુપાવ્યો હતો, જેના કારણે આ ટ્રીપ રદ કરવામાં આવી હતી. પોલીસ માને છે કે પાસપોર્ટ ગાયબ થયો એ કોઈ અલગ ઘટના નહોતી પરંતુ એક મોટા ષડયંત્રનો ભાગ હતો, જે બાદ 18 જૂને લોહગઢ કિલ્લામાં કેતન અગ્રવાલનું મૃત્યુ થયું હતું.
તપાસ દરમિયાન, આરોપો પણ સામે આવ્યા કે સિયા ગોયલે લગ્નના ખર્ચના બહાને કેતન અગ્રવાલ પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા. તપાસકર્તાઓનો દાવો છે કે આ પૈસા લગ્નમાં ખર્ચવામાં આવ્યા ન હતા પરંતુ કથિત રીતે ચેતન ચૌધરીને આપવામાં આવ્યા હતા જેથી તે તેને પોતાની કારકિર્દી અને વ્યવસાયમાં રોકાણ કરી શકે. પોલીસના જણાવ્યા અનુસાર, સિયા ગોયલ અને તેના કથિત બૉયફ્રૅન્ડ ચેતન ચૌધરીએ હત્યા પછી લગભગ ત્રણ વર્ષ સુધી અલગ રહેવાની યોજના બનાવી હતી. આરોપીનો હેતુ આ સમયગાળા દરમિયાન કેસ અંગે જાહેર ચર્ચા શાંત પાડવાનો હતો જ્યારે ચેતન તેની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે. આ મામલાની તપાસ હજી પણ ચાલુ છે.