04 May, 2026 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક મંદિર
મંગળવારે, પાંચમી મેએ આવતી અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા લાખો ભક્તોના આગમનને ધ્યાનમાં રાખીને દર્શન અને પૂજાવિધિના સમયપત્રકમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે.
મંદિરમાં મંગળવારે વહેલી સવારે ૩.૧૫ વાગ્યે મહાપૂજા અને આરતી થશે, જે ૩.૫૦ સુધી ચાલશે. બપોરે ૧૨.૧૫ વાગ્યે નૈવેદ્ય ધરાવવામાં આવશે, જ્યારે સાંજે ૭ વાગ્યે ધૂપઆરતી થશે. રાત્રે ૮.૫૦ વાગ્યે મહાપૂજા શરૂ થશે, જે રાત્રે ૧૦.૧૯ વાગ્યે ચંદ્રદર્શન સુધી ચાલશે. રાત્રે ૧૦.૪૫ વાગ્યે મહાનૈવેદ્ય બાદ દર્શન ફરીથી શરૂ કરવામાં આવશે.
ટ્રસ્ટ દ્વારા મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને શારીરિક રીતે અક્ષમ લોકો માટે અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય ભક્તો માટે રાજે સંભાજી મેદાન ખાતે લાઇટ, પંખા અને પીવાના પાણીની સુવિધા સાથેના વિશાળ મંડપ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે મેડિકલ ટીમ, ઍમ્બ્યુલન્સ અને મોબાઇલ ટૉઇલેટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.
મંદિર સુધી પહોંચવા માટે દાદર સ્ટેશનથી રવીન્દ્ર નાટ્ય મંદિર વચ્ચે ચાલતી ફ્રી ઍરકન્ડિશન્ડ શટલ બસનો ઉપયોગ કરી શકાશે.