17 April, 2025 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ કામરા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર કૉમેડિયન કુણાલ કામરાની ધરપકડ બાબતે બૉમ્બે હાઈ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. આ બાબતે કામરાએ તેની વિરુદ્ધ થયેલો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) રદ કરવાની અરજી કરી હતી. દરમ્યાન અદાલતે આગામી આદેશ ન આપે ત્યાં સુધી તેની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ એસ. કોટવાલ અને એસ. મોડકની ખંડપીઠે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ઑર્ડર રિઝર્વ રાખવાનો નિર્ણય લીધો હતો. એક કૉમેડી શો દરમ્યાન કામરાએ પરોક્ષ રીતે શિંદે ‘ગદ્દાર’ હોવાની ટિપ્પણી કરી હતી. એની વિરુદ્ધ શિવસેનાના મેમ્બર ઑફ પાર્લમેન્ટ દ્વારા કરવામાં આવેલો FIR રદ કરવાની અરજી કામરાએ કરી હતી. કામરાએ અરજીમાં જણાવ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે. કામરા તામિલનાડુનો રહેવાસી છે અને ગયા મહિને મદ્રાસ હાઈ કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા. ત્યાર બાદ મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ માટે ત્રણ વાર સમન્સ પાઠવ્યા છતાં કામરા પોલીસ સમક્ષ હાજર નહોતો થયો.