02 July, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં સ્મશાનગૃહોની દયનીય સ્થિતિ અને ગંભીર બેદરકારી ફરી એક વાર ચર્ચાના ચગડોળે ચડી છે. ડોમ્બિવલી-વેસ્ટમાં આવેલા ગણેશઘાટ સ્મશાનગૃહનો એક અત્યંત આઘાતજનક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં અંતિમ સંસ્કાર દરમ્યાન સળગતા મૃતદેહના માંસના ટુકડા રખડતા શ્વાનો દ્વારા ખાવામાં આવી રહ્યા હોવાનું દેખાય છે. આવાં દૃશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક નાગરિકોમાં KDMCની કામગીરી સામે ભારે આક્રોશ અને ઊકળતો રોષ જોવા મળી રહ્યો છે. આ ભયાનક ઘટના પાછળ ગણેશઘાટ સ્મશાનગૃહમાં સ્ટાફનો સદંતર અભાવ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સ્મશાનમાં કોઈ ચોકીદાર કે સુરક્ષાવ્યવસ્થા ન હોવાના કારણે રખડતા શ્વાનો ત્યાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જે મૃતદેહોની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે.
આ ઘટના વિશે શિવસેનાના સ્થાનિક નગરસેવક વિકાસ મ્હાત્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્ટાફની ગેરહાજરીને કારણે અવારનવાર આ પ્રક્રારની ઘટના સામે આવે છે. એક અઠવાડિયા પહેલાં પણ મારી પાસે આ પ્રકારનો વિડીયો આવ્યો હતો. એ વિડિયો મેં KDMCના કમિશનરને મોકલીને તાત્કાલિક સ્ટાફની માગણી કરી હતી. જોકે મારી ફરિયાદ પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આ ઘટનાનો વિડિયો સામે આવતાં મેં KDMCના મેયર અને કમિશનર સાથે મુલાકાત કરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્મશાનગૃહમાં તાત્કાલિક પાંચ સ્ટાફ નેમવાની અને ભવિષ્ય માટે કાયમી સુરક્ષાવ્યવસ્થા ગોઠવવાની કડક માગણી પ્રશાસન સમક્ષ મૂકી છે.’