31 March, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્લ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) દ્વારા ફેરિયાઓ સામે કરવામાં આવતી કાર્યવાહીને લઈને હવે ફેરિયાઓ ભડક્યા છે. આજે ડોમ્બિવલીના ફેરિયાઓ ડોમ્બિવલી વૉર્ડ-ઑફિસે મોરચો લઈ જવાના છે.
આ મોરચા બાબતે માહિતી આપતાં ‘કષ્ટકરી હૉકર્સ વ ભાજી વિક્રેતા યુનિયન-ડોમ્બિવલી’ના અધ્યક્ષ બબન કાંબળેએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે ફેરિયાઓ પણ તેમની આજીવિકા રળી શકે એ માટે ૨૦૧૪માં કાયદો બનાવ્યો છે અને દર પાંચ વર્ષે સરકારને ફેરિયાઓનો સર્વે કરવા જણાવ્યું છે. KDMCએ ૨૦૧૪માં સર્વે કર્યો હતો, એ વખતે કલ્યાણ-ડોમ્બિવલીમાં ૯૫૩૧ ફેરિયાઓ હોવાનું જણાઈ આવ્યું હતું. એ પછી KDMCએ સર્વે કર્યો જ નથી. KDMC ફેરિયાઓ સામે કાર્યવાહી કર્યે રાખે છે જેના કારણે અમારી આજીવિકા પર અસર પડે છે. સુધરાઈ સર્વે કરે એ જરૂરી છે.’
આજના મોરચા વિશે માહિતી આપતાં બબન કાંબળેએ કહ્યું હતું કે ‘સવારે ૧૦ વાગ્યે અમે ડોમ્બિવલી-ઈસ્ટના નેહરુ ગાર્ડનથી મોરચાની શરૂઆત કરીશું, જે ત્યાર બાદ વૉર્ડ-ઑફિસ પર જશે અને ત્યાર બાદ અમે વૉર્ડ-ઑફિસરને અમારું નિવેદન આપીશું. બપોરે ૧ વાગ્યા સુધી ફેરિયાઓ આ મોરચામાં જોડાશે અને ત્યાર બાદ ફરી તેમના ધંધા પર પહોંચી જશે.’