03 December, 2025 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
થાણેના ગાયમુખથી મીરા-ભાઈંદરના શિવાજી ચોકને જોડતા મેટ્રો 10 પ્રોજેક્ટનું લાંબા સમયથી ખોરવાયેલું કામ હવે વેગ પકડશે. આ પ્રોજેક્ટ માટેની ટેન્ડર-પ્રક્રિયા ૧૫ ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)માં એક રિવ્યુ મીટિંગ બાદ ગઈ કાલે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ અંગે જાહેરાત કરી હતી.
ગાયમુખ અને શિવાજી ચોકને જોડતા આ પ્રોજેક્ટ અંતર્ગત ૯.૭ કિલોમીટરનો એલિવેટેડ કૉરિડોર ગાયમુખ રેતીબંદર, ચેનાગાવ, વર્સોવાગાવ, કાશીમીરા અને મીરાગાવમાંથી પસાર થશે. એને પગલે ભારે ટ્રાફિક-જૅમની સમસ્યા સહન કરતા ઘોડબંદર રોડનો ટ્રાફિક હળવો થાય એવી સંભાવના છે . ૨૦૩૧ સુધીમાં તૈયાર થનારા આ કૉરિડોરનો ઉપયોગ દરરોજ ૪.૫ લાખથી વધુ મુસાફરો કરે એવો અંદાજ છે.