06 May, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમવારે રાતે પોલીસ-સ્ટેશનની બહાર ભેગા થયેલા લોકો.
થાણેના શ્રીનગરમાં આવેલા ઇન્દિરાનગરમાં સોમવારે રાતે ઘરની બહાર નીકળેલા ૬ વર્ષના સમીર શેખનું વીજળીના લાઇવ વાયરના સંપર્કમાં આવતાં મોત થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર
વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને સ્થાનિક રહેવાસીમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સોમવારે મોડી રાતે સ્થાનિક નાગરિકોએ પોલીસ-સ્ટેશનની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જોકે લાગતાવળગતા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યા અનુસાર આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે બાળક અજાણતાં વીજળીના ખુલ્લા વાયરને અડી ગયો હતો અને એને કારણે તેને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો.
શું બન્યું હતું?
શ્રીનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે ૧૦ વાગ્યે આ બાળક પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો હતો. અંધારામાં તેને રસ્તા પર લટકતો વીજળીનો લાઇવ વાયર દેખાયો નહોતો. જેવો તેનો હાથ આ વાયરને અડ્યો ત્યારે જોરદાર શૉક લાગ્યો હતો. પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક તેને હૉસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતાં બાળકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સોમવારે મોડી રાતે સેંકડો લોકો પોલીસ-સ્ટેશનની બહાર ભેગા થઈ ગયા હતા અને કલાકો સુધી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ MSEDCLના અધિકારીઓ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા. લોકોનું કહેવું હતું કે વિસ્તારમાં વીજળીની લાઇનની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવે છે જેને કારણે આ માસૂમનો ભોગ લેવાયો છે. ઉશ્કેરાયેલા ટોળાએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે એ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’