22 June, 2026 04:21 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચાલુ વર્ષે મુંબઈ (Mumbai)માં ચોમાસા (Mumbai Monsoon)માં થઈ રહેલા વિલંબ અને પાણીની ઘટતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા પાણી પુરવઠામાં કાપ (Water cut in Mumbai) મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે મંગળવાર, ૨૩ જૂનની મધ્યરાત્રિથી થાણે (Thane)ના અનેક વિસ્તારોમાં ૪૮ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
થાણે મહાનગરપાલિકા (Thane Municipal Corporation)એ સોમવારે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (Maharashtra Industrial Development Corporation)ના નેટવર્ક દ્વારા બારવી (Barvi), જાંભુળ (Jambhul) અને શહાડ (Shahad) વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સપ્લાય થતું પાણી મંગળવાર, ૨૩ જૂનની મધ્યરાત્રિથી ગુરુવાર, ૨૫ જૂનની મધ્યરાત્રિ સુધી બંધ રાખવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૯ જૂનના રોજ જળ સંસાધન વિભાગ (Water Resources Department) સાથે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
થાણે મહાનગરપાલિકા (TMC)ના અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, અલ નીનો (El Niño) અને ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD)ની અસરને કારણે ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે અને કેચમેન્ટ એરિયા (જળગ્રાહક ક્ષેત્ર)માં પાણીનું સ્તર નીચું ગયું છે, જે આગામી અઠવાડિયામાં પાણીના સંગ્રહને વધુ પ્રભાવિત કરી શકે છે.
આ ૪૮ કલાકના ગાળા દરમિયાન સમગ્ર દીવા (Diva) વોર્ડ સમિતિ વિસ્તાર, સમગ્ર કલવા (Kalwa) વોર્ડ સમિતિ વિસ્તાર અને મુમ્બ્રા (Mumbra) વોર્ડ સમિતિ વિસ્તાર (વોર્ડ ૨૬ અને ૩૧ ના કેટલાક ભાગો સિવાય)માં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, વાગળે (Wagle) વોર્ડ સમિતિ વિસ્તાર હેઠળના રૂપા રૂપાડેવી પાડા, કિસાનનગર નંબર ૨ અને નેહરુ નગર તેમજ માનપાડા વોર્ડ સમિતિ વિસ્તાર હેઠળના કોલશેત ખાલચા ગામમાં પણ પાણી કાપ રહેશે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં એમઆઇડીસી (MIDC)ની સપ્લાય સિસ્ટમ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, જે થાણે (Thane Water Cut) શહેરની મોટી વસ્તીને આવરી લે છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને ચેતવણી પણ આપી છે કે પાણી પુરવઠો ફરી શરૂ થયા બાદ પણ વિતરણ વ્યવસ્થાને પૂર્વવત થતાં એકથી બે દિવસનો સમય લાગી શકે છે, તેથી શરૂઆતમાં ઓછા દબાણથી (લો-પ્રેશર) પાણી આવશે.
આ કપરા સમયમાં ટીએમસીએ રહેવાસીઓને અગાઉથી જ પૂરતો પાણીનો સંગ્રહ કરી રાખવા અને પાણીનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને વહીવટીતંત્રને સહકાર આપવા અને સામાન્ય પુરવઠો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી પાણીનો બગાડ અટકાવવા વિનંતી કરી છે.
અધિકારીઓએ ઉમેર્યું હતું કે, જો ચોમાસું વધુ લંબાય તો ભવિષ્યમાં પાણીની ગંભીર કટોકટી ન સર્જાય તે માટે સાવચેતીના પગલારૂપે આ કામચલાઉ પાણી કાપ લાદવામાં આવ્યો છે.