14 August, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાંદરા ટર્મિનસ–અમદાવાદ વચ્ચે ચાલતી લોકશક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના બદલે વડનગર સુધી દોડશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની માગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને લોકશક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને વડનગર સુધી વિસ્તારી છે. આ ટ્રેનને અમદાવાદથી વડનગર જતાં વચ્ચે મહેસાણા સ્ટેશન પર સ્ટૉપેજ આપવામાં આવ્યું છે. બાંદરા ટર્મિનસથી આ ટ્રેન સાંજે ૭.૪૦ વાગ્યે ઊપડશે જે બીજા દિવસે અમદાવાદ વહેલી પરોઢે ૪.૧૦ વાગ્યે પહોંચશે. ૧૦ મિનિટના વિરામ બાદ આ ટ્રેન ૪.૨૦ વાગ્યે ઊપડશે અને મહેસાણા સ્ટેશન પર સવારે ૫.૩૦ વાગ્યે પહોંચશે. પાંચ મિનિટના રોકાણ બાદ આ ટ્રેન ૫.૩૫ વાગ્યે ઊપડશે અને ૬.૪૦ વાગ્યે વડનગર પહોંચશે. વડનગરથી આ ટ્રેન સાંજે ૬.૨૦ વાગ્યે બાંદરા જવા ઊપડશે અને મહેસાણા થઈને અમદાવાદ સ્ટેશને રાતે ૮.૨૫ વાગ્યે પહોંચશે જે બીજા દિવસે સવારે ૫.૨૫ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. ૧૨ ઑક્ટોબરથી આ ટ્રેન નવા નંબર ૧૯૦૧૭ સાથે બાંદરા ટર્મિનસ–વડનગર લોકશક્તિ એક્સપ્રેસ તરીકે અને ૧૩ ઑક્ટોબરથી ટ્રેન નંબર ૧૯૦૧૮ વડનગર–બાંદરા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ તરીકે સંચાલિત થશે.