10 July, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
હજારો મુંબઈવાસીઓને રાહત આપતાં BMCની સ્ટૅન્ડિંગ કમિટીએ બુધવારે OC ઍમ્નેસ્ટી સ્કીમ પસાર કરી હતી જેનો હેતુ ફ્લૅટમાલિકો દ્વારા કબજામાં લેવાયેલાં પરંતુ ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) ન ધરાવતાં બિલ્ડિંગોને રેગ્યુલર કરવાનો છે.
આ યોજના ૧૯૯૧થી નવેમ્બર ૨૦૧૬ દરમ્યાન બનેલા ૮૦ ચોરસમીટર (૮૧૬ ચોરસફુટ) સુધીના ફ્લૅટ માટે લાગુ પડશે. રેસિડેન્શિયલ બિલ્ડિંગ ઉપરાંત અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (UDD)ના નિર્દેશો અનુસાર સ્કૂલ અને હૉસ્પિટલના બિલ્ડિંગ પર પણ વિચારણા કરવામાં આવશે.
આ પૉલિસી એવાં નૉન-OC બિલ્ડિંગોને લાભ આપવા માટે છે જેમનું રેગ્યુલરાઇઝેશન ટેક્નિકલ કારણોસર અને રહેવાસીઓના કન્ટ્રોલની બહારનાં પરિબળો જેમ કે નાસતા ફરતા બિલ્ડરો અને ઍડ્મિનિસ્ટ્રેટિવ ડિલેને કારણે બાકી છે.
બુધવારે ત્રીજી વખત BMCની સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને કૉર્પોરેશનનો ઠરાવ મળ્યા પછી એનો અમલ કરવામાં આવશે. ત્યાર બાદ આ માટેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) બહાર પડશે, જેના પછી નાગરિકો અરજી કરવાનું શરૂ કરી શકશે.
BJPએ સૂચવેલા સુધારાઓનું શું થશે?
એપ્રિલમાં BMCએ UDDને એક સુધારેલો પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં ૮૦ ચોરસમીટરના ફ્લૅટની મર્યાદા દૂર કરવા અને મંજૂર યોજનાઓ ધરાવતાં તમામ રેસિડેન્શિયલ બિલ્ડિંગોને OC ઇશ્યુ કરવા; ફક્ત સ્કૂલો અને હૉસ્પિટલો જ નહીં પણ કમર્શિયલ બિલ્ડિંગ (જેમ કે પ્રાઇવેટ ઑફિસો)નો સમાવેશ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)નો હેતુ ‘OC for All’ નીતિ લાવવાનો હતો. જોકે UDDએ હજી સુધી સૂચવેલા સુધારાઓનો જવાબ આપ્યો નથી.