15 May, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે પત્ની દ્વારા ઘરકામ કરવાનો ઇનકાર એ માનસિક ક્રૂરતા નથી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેની સમાન ભાગીદારી છે, એ કોઈ સર્વિસ-કૉન્ટ્રૅક્ટ નથી અને પત્નીને નોકરાણી સમજી શકાય નહીં. હાઈ કોર્ટે ફૅમિલી કોર્ટના ૧૬ વર્ષ જૂના છૂટાછેડાના આદેશને રદ કરતાં પતિને આદેશ આપ્યો હતો કે તે પત્નીને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા ભરણપોષણ અને ૧૦,૦૦૦ રૂપિયા ઘરના ભાડા પેટે ચૂકવે.
આ કેસની વિગત મુજબ દંપતીનાં લગ્ન ૨૦૦૨ની ૨૮ ફેબ્રુઆરીએ થયાં હતાં, પરંતુ વિવાદને કારણે તેઓ ૩ મહિના પણ સાથે રહી શક્યાં નહોતાં. પતિએ ફૅમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી; જેમાં આક્ષેપ કર્યો હતો કે પત્ની તેનાં માતા-પિતાનું માનતી નથી, તેનું વર્તન અસભ્ય છે અને તેને રસોઈ બનાવતાં નથી આવડતી. ફૅમિલી કોર્ટે ૨૦૧૦ની ૨૩ જુલાઈએ આ આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા, જેને પત્નીએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.
રસોઈ બનાવવી કે સફાઈ જેવાં કામ ન કરવાં એને ક્રૂરતા માની શકાય નહીં. છૂટાછેડા માટે ક્રૂરતાનું વર્તન ગંભીર, સતત અને લાંબા ગાળાનું હોવું જોઈએ. જ્યારે દંપતી માત્ર ૩ મહિના સાથે રહ્યું હોય ત્યારે આટલા ઓછા સમયમાં ‘સાથે રહેવું અશક્ય છે’ એવા નિષ્કર્ષ પર આવવું અયોગ્ય છે.
હાઈ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘માનસિક ક્રૂરતાનો અર્થ એવું વર્તન છે જેનાથી ઊંડી ભાવનાત્મક પીડા કે અપમાન થાય. માત્ર ઘરની જવાબદારીઓને લઈને અસંમતિ કે પત્ની દ્વારા અમુક કામોનો ઇનકાર એ છૂટાછેડા માટે પૂરતો આધાર બની શકે નહીં. લગ્નજીવનમાં સમાનતા અને સન્માન હોવું અત્યંત જરૂરી છે.’