09 September, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી મુંબઈના ન્યુ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ સ્ટેશન પરથી સોમવારે ફ્રેટ ટ્રેનના સંચાલનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગવર્નર જિષ્ણુદેવ વર્મા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. ગઈ કાલે સત્તાવાર રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટેશન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું.
નવી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT)થી ઉત્તર પ્રદેશના દાદરી સુધીના વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર (WDFC)ના બાકી રહેલા ૩૨૬ કિલોમીટરનાં ત્રણ સેક્શન્સનું મંગળવારે ઉદ્ઘાટન કરવામાં આવતાં હવે આ કૉરિડોર પૂર્ણપણે કાર્યરત છે. ૨૦,૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો કૉરિડોર ફુલ્લી ઑપરેશનલ થતાં ટ્રાવેલ-ટાઇમ ઓછો થશે, ખર્ચ ઘટશે અને મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને પણ મજબૂત કરશે. મહારાષ્ટ્રની પોર્ટ ઇકૉનૉમી માટે આ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ સુધી જઈ આ WDFC ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર (EDFC) સાથે મળે છે. આ બન્ને કૉરિડોર કુલ મળીને ૨૮૪૩ કિલોમીટરના છે. મંગળવારે વડા પ્રધાને ઉદ્ઘાટન કર્યું એ ત્રણ સેક્શન ન્યુ સાણંદ-ન્યુ મકરપુરા, ન્યુ ઉમરગામ-ન્યુ સફાળે અને ન્યુ સફાળે-JNPTનો આ પ્રમાણે છે.
વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે WDFC અને EDFCનું કામ પૂરું થતાં ભારતના લૉજિસ્ટિક સેક્ટરમાં ઐતિહાસિક ક્રાન્તિ આવશે. આના કારણે જે અંતર કાપવા માટે ૩૦ કલાક લાગતા હતા અે ફ્રેટ ટ્રેન દ્વારા ૧૨ જ કલાકમાં પૂરું કરી શકાશે અને ૧૦૦ કિલોમીટરનું અંતર પણ અડધોઅડધ થઈ જશે. અેના કારણે ઇંધણનો, અન્ય લૉજિસ્ટિક્સનો ખર્ચ બચશે તથા પર્યાવરણને પણ ફાયદો થશે.