16 November, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑપેરા હાઉસ જંક્શનથી ગિરગામ ચર્ચ સુધીનો રોડ પાંચ મહિના માટે વન-વે રહેશે. ડી. બી. માર્ગ ટ્રાફિક-વિભાગે જાહેર કરેલી ઍડ્વાઇઝરી મુજબ જગન્નાથ શંકર શેટ રોડ પર ઑપેરા હાઉસ જંક્શન પર આવેલા પંડિત પલુસ્કર ચોક અને ગિરગામ ચર્ચ પાસે આવેલા સમતાનંદ અનંથરી ગાડરે ચોક વચ્ચેનો રસ્તો ૧૫ નવેમ્બરથી પાંચ મહિના માટે વન-વે તરીકે ઉપયોગમાં લેવાનો રહેશે. ખોદકામ અને કૉન્ક્રીટીકરણના કામ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમ્યાન રાજા રામમોહન રૉય રોડ અથવા ગિરગામ ચર્ચ અને ચર્ની રોડ જંક્શન થઈને ડાઇવર્ઝન સહિતના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. ડાઇવર્ટ કરેલા રૂટ પર પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી નો પાર્કિંગ નિયમ ૨૪ કલાક લાગુ રહેશે.
થાણેના લોઢા પલાવા જંક્શન પર ૧૫ દિવસ માટે ટ્રાફિક ડાઇવર્ઝન
કલ્યાણના લોઢા પલાવા જંક્શન પર નવા પુલના નિર્માણ માટે સિમેન્ટના ગર્ડર લગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એને પગલે ૧૫ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી કલ્યાણથી મુંબ્રા-કલ્યાણ ફાટા તરફ જતાં અને મહાલક્ષ્મી હોટેલની સામેના ચોક પર લોઢા પલાવા જંક્શન તરફ જતાં બધાં હળવાં વાહનો માટે આ રસ્તો બંધ રહેશે. એમણે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.